પોલીસ લોકો માટે ૨૪ X ૭ ઉપલબ્ધ: નવા કાયદાથી ગુનાખોરી કાબૂમાં આવશે: કમિશનર
સ્વતંત્રતા પર્વ અંતર્ગત પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા હેડ ક્વાર્ટર ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પછી તેમણે ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે રાજકોટ પોલીસ શહેરીજનો માટે ૨૪ કલાક ઉપલબ્ધ છે. લોકો આવનારા પર્વની ઉજવણી ઉલ્લાસ સાથે કરી શકે અને તહેવારો દરમિયાન કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અત્યારથી જ સજ્જ બની ગઈ છે અને અલગ-અલગ પ્રકારની ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ભારતમાં ત્રણ નવા કાયદા અમલમાં આવી ચૂક્યા છે જેથી તેના કારણે આવનારા દિવસોમાં ગુનાખોરી કાબૂમાં આવી જશે. આ પ્રસંગે પોલીસ કમિશનરે પરેડને સલામી આપી હતી. આ પ્રસંગે એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ઝોન-૧ સજનસિંહ પરમાર, ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા, ડીસીપી (ક્રાઈમ) ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ ઉપરાંત તમામ એસીપી, તમામ પીઆઈ સહિતના અધિકારીઓ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ પોલીસ કમિશનર દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર જવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.