પહેલો ઘા રાણાનો: ભાજપના ૧૫૦ ઉમેદવારોની યાદી તૈયાર
ભાજપ ગુજરાત અને હિન્દીભાષી રાજ્યોના નામ ચૂંટણીની જાહેરાત પહેલા જાહેર કરી દેશે
નવી દિલ્હી ખાતે શુક્રવારે રાત્રે વડાપ્રધાનના નિવાસસ્થાન ખાતે મળેલી ભાજપની બેઠકમાં ગુજરાત ઉપરાંત હિન્દી બેલ્ટના રાજ્યો માટે ઉમેદવાર પસંદગીની કાર્યવાહી મહદંશે પૂર્ણ કરવામાં આવી હતી. ભાજપના આંતરિક વર્તુળોના જણાવ્યા અનુસાર સવારે ચાર વાગ્યા સુધી ચાલેલી બેઠકમાં ૧૫૦ જેટલા ઉમેદવારોની યાદી ફાઈનલ કરી દેવાઈ હતી.
આ બેઠકમાં ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ તેમજ એ રાજ્યોના સરકાર અને સંગઠનના અધિકારીઓએ રજૂ કરેલી પેનલો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને બેઠકવાર આંકલન કર્યા બાદ યાદીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.નોંધનીય છે કે આ બધા રાજ્યો લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ગઢ સાબિત થયા હતા. એ રાજ્યની પ્રમાણ માં નબળી અને પડકારરૂપ ગણાતી બેઠકો માટે અલગ રણનીતિ નક્કી કરવામાં આવી હતૈી
સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય જનતા પક્ષ ગત ચૂંટણીની માફક જ આ વખતે પણ ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ એટલે કે ૧૦ માર્ચ પહેલા જ અડધા ઉપરના ઉમેદવારોની યાદી જાહેર કરી દેશે. ગત ચૂંટણીમાં ૨૧માર્ચે તારીખે ચૂંટણીની જાહેરાત થઈ તેના બે દિવસ પહેલા એટલે કે ૧૯મી માર્ચે ભાજપે ૧૬૪ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા હતા.
ભાજપના દિગ્ગજોની બેઠકો નક્કી થઇ ગઇ
શુક્રવારની બેઠકમાં વિવિધ રાજ્યના ભાજપના ટોચના નેતાઓની બેઠકો અંગે પણ નિર્ણય લેવાઈ ગયો હતો. સૂત્રોનું માનીએ તો રાજનાથ સિહ લખનૌની બેઠક ઉપરથી ચૂંટણી લડશે. એ જ રીતે મધ્યપ્રદેશના ગુના ની બેઠક માટે જ્યોતિરાદિત્ય સિધિયાનું નામ ફાઇનલ કરાયું હતું. આસામમાં પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ દીબૃગઢ ની બેઠક પરથી ચૂંટણી લડશે. ભોપાલની બેઠક પ્રજ્ઞા ઠાકુરને બદલે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિહ ચૌહાણને ઓફર કરવામાં આવી હતી પરંતુ શિવરાજ સિહે તેનો ઇનકાર કરી પોતાના મતવિસ્તાર વિદિશામાંથી ચૂંટણી લડવાની ઈચ્છા જાહેર કરી હતી. વડાપ્રધાન મોદી વારાણસી થી તેમજ ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગર પરથી ચૂંટણી લડશે.
ગુજરાતમાં કોને ટિકિટ?: નવા નવા નામોની અટકળો
દિલ્હીમાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં અન્ય રાજ્યોની સાથે સાથે વડાપ્રધાનના ગૃહરાજ્ય ગુજરાતના દાવેદારો અંગે પણ ચર્ચા થઇ હતી. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ અટકળોનું બજાર ગરમ છે અને નવા નવા નામો બહાર આવી રહ્યા છે. સુત્રો અનુસાર, રાજકોટની બેઠક ઉપર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નામ પણ ચર્ચામાં આવ્યું છે તો આ જ બેઠક માટે બ્રિજેશ મેરજાનું નામ પણ ઉછળ્યું છે. આ ઉપરાંત જામનગર માટે પુનમબેન માડમ, પોરબંદર માટે મનસુખભાઈ માંડવિયા, સુરેન્દ્રનગર માટે કુંવરજીભાઈ બાવળિયા વગેરે નામો ભરપુર ચર્ચામાં છે. જો કે, આ સમીકરણો બદલાશે તેવી પણ ચર્ચા છે.