મુખ્તાર અન્સારીના મૃત્યુની ન્યાયિક તપાસના આદેશ
ધીમું ઝેર અપાયું હોવાનો આક્ષેપ
યુપીના અનેક જિલ્લાઓમાં 144 મી કલમ
ઉત્તર પ્રદેશના બાહુબલી માફિયા રાજકારણી મુખ્તાર અન્સારીનું ગુરુવારે રાત્રે બાંદાની જેલમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. મુખ્તાર અન્સારી 2005 થી જેલમાં હતા. તેમનું મૃત્યુ જેલવાસ દરમિયાન ધીમું ઝેર આપવાને કારણે થયું હોવાનો તેમના પુત્રએ આક્ષેપ કર્યા બાદ મૃત્યુના કારણ અંગે ન્યાયિક તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશમાં મોટું માફિયા નેટવર્ક ધરાવતા આ બાહુબલી નેતાના મૃત્યુને પગલે અનેક જિલ્લાઓમાં 144 મી કલમ લાગુ કરી દેવામાં આવી હતી.
પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા મુખ્તાર અન્સારીએ ગત અઠવાડિયે જેલમાં તેમને ખોરાકની સાથે ઝેરી તત્વો આપવામાં આવતા હોવાની બારાબંકી કોર્ટમાં અરજી કરી હતી. જોકે તેમનું મૃત્યુ હૃદય રોગના હુમલાને કારણે થયું છે. તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ દિલ્હી એઇમ્સના તબીબો દ્વારા કરાવવાની તેમના પરિવારજનોએ માગણી કરી હતી. એ માગણી નકારીને મૃતદેહનું બાંદામાં જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને સમગ્ર પ્રક્રિયા લની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી.
તેમના મૃત્યુ અંગે શંકા કુશંકાઓ સર્જાયા બાદ બાંદાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલત દ્વારા વધારાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને અન્સારીના મૃત્યુની તપાસ કરવા અને એક મહિનામાં રિપોર્ટ આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો.