હરિયાણાની હાર અંગે રાહુલ ગાંધીએ કોના પર ગુસ્સો ઠાલવ્યો ? જુઓ
કોંગ્રેસ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પોતાની હારનું કારણ શોધવામાં વ્યસ્ત છે. જેના ભાગરૂપે પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે ગુરુવારે બેઠક યોજી હતી, જેમાં રાહુલ ગાંધીએ પણ હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન રાહુલે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને શૈલજા કુમારીનું નામ લીધા વિના મોટી વાત કહી હતી અને ગુસ્સામાં કહ્યું હતું કે નેતાઓ પક્ષના બદલે પોતાનું હિત જુએ છે.
આ બેઠકમાં રાહુલ ગાંધીએ કોઈ પણ નેતાનું નામ લીધા વિના કહ્યું કે, હરિયાણામાં નેતાઓએ ભારે રૂચિ દર્શાવી પરંતુ પક્ષનું હિત જોયું નહીં. તેઓ પોતાના હિત માટે જ કામ કરતાં રહ્યા. બેઠક અંગે માહિતી આપતાં કોંગ્રેસના નેતા અજય માકને જણાવ્યું હતું કે, પરિણામો બાદ અમે સમીક્ષા બેઠક યોજી હતી. તમામ એક્ઝિટ પોલ અમને જીત બતાવી રહ્યા હતા, અમને જીતનો વિશ્વાસ હતો. પરંતુ અમે હાર્યા, જેની સમીક્ષા કરવામાં આવી અને ઈવીએમ, નેતાઓ વચ્ચેના મતભેદો પર પણ ચર્ચા થઈ.
ખડગેના ઘરે યોજાયેલી બેઠકમાં રાહુલ, કેસી વેણુગોપાલ, સુપરવાઈઝર અજય માકન, અશોક ગેહલોત હાજર રહ્યા હતા. ભૂપેન્દ્ર હુડ્ડા અને ઉદયભાનને પણ મિટિંગમાં બોલાવ્યા હતા, પરંતુ તેઓ આવ્યા નહીં. શૈલજા કુમારી અને રણદીપ સુરજેવાલાને બોલાવવામાં આવ્યા ન હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પક્ષની હારના કારણો જાણવા માટે એક કમિટી બનાવાશે. ચૂંટણીમાં તેમની હાર કેમ અને કેવી રીતે થઈ તે શોધી કાઢશે. આ કમિટીમાં કોણ કોણ હશે તેની માહિતી હાલ જાહેર કરવામાં આવી નથી.