મહિલાની દરેક વાત સાચી માની શકાય નહીં : જાતીય સતામણીના કેસ અંગે કેરળ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
કેરળ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં કહ્યું હતું કે ફોજદારી કેસોમાં, ખાસ કરીને જાતીય સતામણીના કેસમાં ફરિયાદી દ્વારા આપવામાં આવેલ દરેક નિવેદન સાચું છે તેવું માની લેવું ખોટું છે. કોર્ટે આમ પણ કહ્યું કે વર્તમાન સમયમાં જાતીય સતામણીના કેસમાં પુરુષોને ફસાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જસ્ટિસ પીવી કુન્હીકૃષ્ણને એક મહિલા કર્મચારી દ્વારા જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા એક પુરુષને આગોતરા જામીન આપતી વખતે આ વાત કહી હતી.
કોર્ટે કહ્યું કે, આ કેસમાં પોલીસે આરોપીની એ ફરિયાદની તપાસ ન કરી જેમાં તેમણે કહ્યું હતું કે, નોકરી પરથી કાઢી મૂક્યા બાદ મહિલાએ તેને ગાળો આપી હતી અને ધમકીઓ આપી હતી. કોર્ટે કહ્યું કે, ‘એક ફોજદારી કેસની તપાસનો અર્થ માત્ર ફરિયાદીના પક્ષની તપાસ જ નથી, પરંતુ આરોપીના મામલાની પણ તપાસ થવી જોઈએ. એક મહિલા કર્મીએ મેનેજર સામે કરેલી ફરિયાદ અંગેના કેસમાં હાઇકોર્ટે ઉપરોક્ત આદેશ આપ્યો હતો.
ફરિયાદી એક મહિલા હોવાને કારણે એવું માનવું યોગ્ય નથી કે તેનું દરેક નિવેદન સાચું જ છે. પોલીસ માત્ર મહિલાના નિવેદનના આધારે કાર્યવાહી ન કરી શકે. આરોપીના કેસની પણ ગંભીરતાથી તપાસ થવી જોઈએ.’ કોર્ટે એમ પણ કહ્યું કે, ‘હાલમાં તો મહિલાઓ દ્વારા પુરુષો પર જાતીય સતામણીના આરોપો જૂઠા હોવા છતાં પણ તેમને ફસાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જો પોલીસ તપાસમાં એ સામે આવે કે, મહિલાઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપ જૂઠા હતા તો પોલીસ ફરિયાદી વિરુદ્ધ પણ કાર્યવાહી કરી શકે છે. આવું કાયદો પણ કહે છે.’
એક કેસમાં કોર્ટે આરોપીને 50,000 રૂપિયાના બોન્ડ અને બે સક્ષમ જામીનદારો સાથે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત આરોપીને તપાસમાં સહકાર આપવા, સાક્ષીઓને પ્રભાવિત કરવાનો કે ડરાવવાનો પ્રયાસ ન કરવાનો અને તપાસ અધિકારી દ્વારા બોલાવવામાં આવે ત્યારે હાજર રહેવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. આરોપીએ ફરિયાદ કરી હતી કે મહિલા કર્મીએ પોતાને ગાળો દીધી હતી અને ધમકી આપી હતી.