ઈરાની અદાલતે 31 વર્ષની સજા ફટકારી છે
154 કોરડાની સજા પણ ભોગવી ચૂકી છે.
સમગ્ર વિશ્વમાં મહિલાઓ ઉપર જ્યાં સૌથી વધારે જુલમ થાય છે એ ઈરાની મહિલા ચળવળકાર નરગેસ મોહમ્મદીને વર્ષ 2023 નો નોબેલ શાંતિ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર મેળવનાર તે 19મી મહિલા બની છે. આગામી 10 મી ડિસેમ્બરે તેને એક લાખ ડોલરનો ચેક અર્પણ કરવામાં આવશે.
51 વર્ષની નરગેશ મહંમદ ઈરાનમાં બે દાયકાથી માનવ અધિકાર અને મહિલા સ્વાતંત્ર્ય માટે લડત ચલાવતી રહી છે. 2010માં તેની પહેલી વખત ધરપકડ કરવામાં આવી હતી. 2011 માં તેને 16 વર્ષની સજા ફટકારાઈ હતી. જેલવાસ દરમિયાન તે અનેક ગંભીર પ્રકારની બીમારીઓમાં પટકાઈ ગઈ હતી. અત્યારસુધીમાં કુલ 13 વખત તેની ધરપકડ કરાઈ છે અને અલગ અલગ કેસમાં તેને કુલ 31 વર્ષની સજા ફરમાવવામાં આવી છે. નરગેસને સજાના ભાગરૂપે કુલ 154 કોરડા પણ ફટકારવામાં આવ્યા હતા. હાલમાં પણ નરગેસ મોહમ્મદી જેલમાં સબડી રહી છે.
ઈરાનમાં મહિલાઓ સામેના અત્યાચારો સામે અત્યંત બહાદુરી પૂર્વક લડવા બદલ તેમજ માનવ અધિકાર અને સૌના સ્વાતંત્રને પ્રોત્સાહન આપવામાં બદલ આ પુરસ્કાર આપવામાં આવ્યો હોવાનું નોર્વેજીયન નોબેલ સમિતિએ જણાવ્યું હતું.