દેશદ્રોહી ખાલિસ્તાની સમર્થકોની હવે ખેર નથી
શીખ આતંકી હરદીપ સિંઘની હત્યા મામલે સર્જાયેલા ભારત અને કેનેડાના રાજદ્વારી સંકટ વચ્ચે એનઆઇએ બુધવારે ખાલીસ્તાન સમર્થકો અને તેની સાથે સંકળાયેલી માફિયા ગેંગો ઉપર તૂટી પડી હતી. એનઆઇએ દ્વારા પંજાબ ,હરિયાણા ,દિલ્હી એનસીઆર,રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં એક સાથે 50 કરતા વધારે સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ બુધવારે સવારે પંજાબમાં 30 અને રાજસ્થાનમાં તેર સ્થળે એનઆઇએની ટુકડીઓ ત્રાટકી હતી. સાથે જ અન્ય રાજ્યોમાં પણ દરોડા પડ્યા હતા.
આ દરોડા દરમિયાન કુખ્યાત ગેંગસ્ટર અને આતંકવાદી હર્ષદીપ સિંઘ દલ્લા ના સાથી સુંદર ઉર્ફે જોરાની ધરપકડ કરવામાં આવી હતી. અલગ ખાલીસ્તાનની માંગણી સાથે ભારતમાં હિંસા ફેલાવવાનો મનસુબો ધરાવતા ઘર આંગણાના સમર્થકો તેમજ વિદેશની ભૂમિ ઉપર કાર્યરત આતંકવાદીઓનું પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈ સાથે ગઠબંધન હોવાના નિર્દેશ મળ્યા બાદ એનઆઇએ દ્વારા આ નેટવર્ક ને તોડી પાડવા માટે કડક પગલાં શરૂ કરાયા છે અને તેના ભાગરૂપે બુધવારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ખાલીસ્તાન સમર્થક આ માફિયા ગેંગો ટાર્ગેટ કિલિંગ, સરકારી ઇમારતો ઉપર હુમલા, ખંડણી તેમજ ડ્રગ અને હથિયારોની દાણચોરીમાં સંડોવાયેલી છે એટલું જ નહીં આ ગેંગો કેનેડા, યુકે,ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં ચાલતી ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું પણ ખુલ્યું છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમય દરમિયાન ભારતમાં પણ ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં ખાલીસ્તાની ચળવળ ફરી એક વખત માથું ઊંચકી રહી હોય તેવા નિર્દેશો પ્રાપ્ત થવા લાગ્યા હતા.
આર્થિક કમર તોડી નાખવાનો વ્યુહ.
ભારતમાં વિવિધ ગુનાહિત પ્રવૃત્તિ આચરતી માફિયા ગેંગો દ્વારા એકત્ર કરાયેલા નાણા ભારતમાં હિંસા ફેલાવવામાં તેમજ વિદેશની ભૂમિ ઉપર ભારત વિરોધી ચળવળમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ભારતમાંથી લુટેલા નાણા નું ખાલીસ્તાન વાદી આતંકી સંગઠનો દ્વારા ફિલ્મો, યાટ અને કેનેડા પ્રીમિયમ લીગમાં પણ રોકાણ કરાતું હોવાનું ખૂલ્યું છે. આ ટેરર ફંડિંગ ની કમર તોડી નાખવા માટે ભારત સરકારે કડક પગલાં શરૂ કર્યા છે. આ અગાઉ ભારત સરકાર દ્વારા ગત બુધવારે ખાલીસ્તાન સમર્થક 43 માફિયાઓની યાદી અને તસવીરો જાહેર કરવામાં આવી હતી એટલું જ નહીં શીખ ફોર જસ્ટિસ સંગઠનના વડા ગુરુપતવાન સિંઘ પન્નુ ની ચંદીગઢ અને અમૃતસર ખાતેની મિલકતો પણ જપ્ત કરાઈ હતી.
