નેપાળ ધ્રૂજયું : 5.5ની તીવ્રતાના ભૂકંપથી બિહાર સુધી ધરા ધ્રૂજી, પાકિસ્તાનમાં અનુભવાયા આંચકા ; લોકોમાં ભારે ગભરાટ
બિહારની રાજધાની પટનામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર નેપાળ હતું. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, નેપાળના બાગમતી પ્રાંતમાં સવારે લગભગ 2.35 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળનો બાગમતી પ્રાંત બિહારના મુઝફ્ફરપુરથી ૧૮૯ કિલોમીટર ઉત્તરમાં આવેલો છે. ભૂકંપમાં કોઈ નુકસાન કે જાનહાનિ અંગે હજુ સુધી કોઈ માહિતી નથી.
ભૂકંપની દ્રષ્ટિએ નેપાળની નાજુક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. અહેવાલ અનુસાર બિહાર ઉપરાંત સિલિગુડી સહિત અન્ય ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતની સાથે, તિબેટ અને ચીન સહિતના કેટલાક પડોશી વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. સિંધુપાલચોકના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “ભૂકંપના આંચકા એટલા ભારે હતા કે અમારે ઊંઘમાંથી દોટ મૂકવી પડી હતી. જોકે હવે લોકો પોતાના ઘરે પાછા ફર્યા છે. અમને અત્યાર સુધી કોઈ નુકસાન કે ઈજાના કોઈ અહેવાલ મળ્યા નથી.
લોકોએ સોશિયલ મીડિયા પર વીડિયો પણ શેર કર્યા છે, જે પટનાના હોવાનું કહેવાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ભૂકંપના કારણે ઇમારતો અને છતના પંખા કેવી રીતે ધ્રુજી રહ્યા છે. એક યુઝરે દાવો કર્યો હતો કે ભૂકંપ લગભગ 35 સેકન્ડ” સુધી રહ્યો હતો.
આસામના મોરીગાંવમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ગુરુવારે સવારે આસામના મોરીગાંવમાં પણ રિકટર સ્કેલ પર 5 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપના આંચકા લગભગ 2.25 વાગ્યે નોંધાયા હતા. આ ઘટનામાં કોઈ નુકસાન કે જાનહાનિ અંગે પણ કોઈ માહિતી મળી નથી.
પાકિસ્તાનમાં વહેલી સવારે ભૂકંપ
શુક્રવારે સવારે 5:14 વાગ્યે પાકિસ્તાનમાં બીજો ભૂકંપ આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાકિસ્તાનના બરખાન નજીક હતું. 16 ફેબ્રુઆરીએ પણ પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. જોકે પાકિસ્તાનમાં પણ જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.