NEET પરીક્ષા વિવાદ : CBI તપાસની માંગ અંગે ૮ જુલાઈએ સુપ્રિમમાં સુનાવણી
NEET UG પરીક્ષામાં કથિત ગેરરીતી અંગે CBI તપાસ કરાવવા અંગે અરજી પર કોઈ આદેશ આપવાનો સુપ્રિમ કોર્ટે ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં NTAને નોટિસ પાઠવીને બે અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું છે.આ મામલામાં ૮ જુલાઈએ વધુ સુનાવણી થશે.
સુપ્રીમ કોર્ટે NEET કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો પણ ઇનકાર કરી દીધો છે.
જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ કેસની સુનાવણી દરમિયાન સીબી’આઈ તપાસની માંગ પર હાલ આદેશ આપવાનો ઈન્કાર કર્યો છે. હવે આ કેસની સુનાવણી 8મી જુલાઈએ થશે.સીબીઆઈ તપાસની માંગ કરતી અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓને ઈચ્છિત પરીક્ષા કેન્દ્ર અપાવવા માટે ઘણી યુક્તિઓ અપનાવવામાં આવી હતી.
ઓડિશા, ઝારખંડ અને ગુજરાત જેવા રાજ્યોના વિદ્યાર્થીઓએ NEET પરીક્ષામાં બેસવા માટે ગુજરાતના ગોધરા ખાતેનું એક ચોક્કસ કેન્દ્ર પસંદ કર્યું હતું અને કથિત રીતે વિદ્યાર્થીઓએ ગોધરાના જય જલરામ સ્કૂલમાં પરીક્ષા આપવા રૂ. 10 લાખની લાંચ આપી હતી.
આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટે ગ્રેસ માર્કસવાળા 1563 વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવાનો આદેશ આપ્યો નથી. સુનાવણી દરમિયાન, NTAએ તેને રદ કરવાની વાત કરી અને ફરીથી પરીક્ષા લેવાનો આદેશ આપ્યો.
એક અરજદારે પેપર લીક કેસમાં નોંધાયેલી એફઆઈઆરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી 8મી જુલાઈએ થશે.