મારી દીકરીને ભૂવાએ જ મારી છે… રાજકોટમાં વિધિ કરવાના બહાને યુવતીને પ્રેમજાળમાં ફસાવી : પિતાનું હૈયાફાટ રુદન
વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આજે પણ સતત અંધશ્રદ્ધાના કિસ્સાઓ વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે આજે રાજકોટમાં અંધશ્રધ્ધાએ શિક્ષિત યુવતીનો ભોગ લીધો છે.રાજકોટમાં નર્સિંગની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે જેમાં યુવતીને સ્મશાનમાં રહેતા ભુવાએ પ્જાળમાં ફસાવી દોઢ વર્ષ પહેલા ભગાડી ગયો હતો. ગઇકાલે યુવતીએ ઝેરી દવા પી લીધી હોવાનો આક્ષેપ સાથે ભુવો યુવતીને સારવાર માટે હોસ્પીટલે લાવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન યુવતીનું મોત નીપજતા ભુવો પ્રેમીકા યુવતીની લાશને હોસ્પીટલમા તરછોડી નાસી છુટયો હતો. યુવતીને ભુવાએ ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતાર્યો હોવાનુ તેનાં પિતાએ આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો
મળતી વિગતો અનુસાર આ ઘટના રાજકોટની છે જ્યાં ભગવતીપરા વિસ્તારમાં રહેતી યુવતીને મવડી સ્મશાનમાં રહેતા ભુવાએ પ્રેમજાળમાં ફસાવી દોઢ વર્ષ પહેલા ભગાડી ગયો હતો. ભૂવાએ નર્સિંગનો અભ્યાસ કરી ચૂકેલી યુવતીને તારા પિતા ઉપર કોઈએ મેલી વિદ્યા કરી છે, તેમનું મૃત્યુ થશે તેને બચાવવા માટે તારે મારી પાસે આવી વિધિ કરાવવી પડશે કહી જાળમાં ફસાવી હતી. જે બાદ કોમલ ભૂવા કેતન સાથે છેલ્લા દોઢ વર્ષથી રહેતી હતી. ત્યારે 13 તારીખે હોળીના દિવસે ભૂવાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું ગઇકાલે 17 માર્ચના રોજ મોત નીપજ્યું હતું ત્યારે હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે ફરાર પાખંડી ભૂવાને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
પિતાએ ભૂવા પર લગાવ્યા ગંભીર આક્ષેપ
મૃતકના પિતાએ આક્ષેપ કર્યો છે કે, કેતન સાગઠીયા નામના ભૂવાએ કોમલને પ્રેમજાળમા ફસાવી દોઢ વર્ષ પહેલા ભગાડી ગયો હતો. અગાઉ 8 માસ પૂર્વે કેતને કોમલને ઝેરી દવા પીવડાવી હતી. કેતન સામે તેની પત્નીએ પણ ફરીયાદ નોંધાવી છે. કોમલે સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડી દેતા કેતન મૃતદેહને હોસ્પિટલમાં છોડી નાસી છુટયો છે. તેણે અનેક દીકરીઓની જિંદગી બગાડી છે.
કેતન સાગઠીયાએ જ કોમલને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી હોવાનો સનસનીખેજ આક્ષેપ કરવામા આવ્યો છે. મૃતકનાં પિતાએ કરેલા આક્ષેપને પગલે તાલુકા પોલીસે મૃતક યુવતીનાં મૃતદેહનો ફોરેન્સીક પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.
ભૂવો લગ્ને-લગ્ને કુંવારો છે
ભૂવાએ મારી દીકરીને જણાવ્યું હતું કે તારા પિતા પર કોઈએ મેલી વિદ્યા કરી દીધી છે તેનું મોત નીપજવાનું છે, મારી પાસે વિધિ કરાવ તો સારું થઇ જશે. છેલ્લા એકાદ વર્ષથી મારી દીકરી તેની સાથે રહેવા લાગી હતી. ભૂવાને બે-બે પત્ની છે, આમ છતાં મારી દીકરીને ફસાવી છે. તે લગ્ન-લગ્ન કુંવારો છે, ખોટા ધંધા કરે છે. દારૂના પણ ધંધા કરે છે અને તે જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. મારી દીકરીને ભૂવાએ જ મારી છે, અમને ન્યાય જોઈએ છે.
શરીર પર માર માર્યાનાં નિશાન : મૃતકની પિતરાઈ બહેન
જ્યારે મૃતકની પિતરાઈ બહેન રડતાં રડતાં અમારે ન્યાય જોઈએ છે. મારી બેન સાથે બની ગયું છે હવે બીજા સાથે આવું ન બને તેવું અમે ઇચ્છીએ છીએ. મારી બેનને ભૂવો શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. આજે મૃત્યુ થયા પછી પણ તેના શરીર ઉપર માર માર્યાનાં નિશાન પણ જોવા મળી રહ્યાં છે. આ અગાઉ 3-4 મહિના પહેલાં પણ સુસાઇડ નોટ લખી મારી બેને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એ સમય પછી અમારી સાથે રહેતી હતી અને ત્યાર બાદ ફરી તેની પાસે રહેવા લાગી હતી.