હોળીના દિવસે ખેલાયો ખૂની ખેલ : ભાજપના નેતાની પાડોશીએ ગોળી મારીને કરી હત્યા
હરિયાણાના સોનીપતમાં ધૂળેટીની રાત્રે લોહીની હોળી ખેલાઈ હતી અને ભાજપ નેતાની પાડોશીએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મળતી માહિતી મુજબ, જમીન વિવાદના કારણે હત્યા કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેવને પોસ્ટ મોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી. હમણાં દરેક રાજ્યમાં ક્રાઇમ વધી ગયું છે અને લોકો પણ અસુરક્ષિત થઈ રહ્યા છે.
ભાજપ નેતા અને મુંડલાના મંડળ અધ્યક્ષ સુરેન્દ્ર જવાહરની હત્યા શુક્રવારે રાત્રે કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, ભાજપ નેતાએ પાડોશીના ફોઈની જમીન ખરીદી હતી, જેને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આરોપીએ થોડા દિવસો પહેલાં જ ભાજપ નેતાને તે જમીન પર પગ ન મૂકવાની ધમકી આપી હતી. જેને લઈને બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.
શુક્રવારે રાત્રે જ્યારે ભાજપ નેતા જમીન પર વાવણી કરવા ગયા તો આરોપી પણ ત્યાં પહોંચ્યો હતો અને ત્યારે બંને વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ ભાજપ નેતા ત્યાંથી નીકળી ગયા. બાદમાં જ્યારે તે પોતાની દુકાને બેઠા હતાં ત્યારે એકાએક આરોપી ત્યાં પહોંચ્યો હતો અને બંદૂકથી ગોળી મારીને હત્યા કરી દીધી હતી. સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. આ બારામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.