આમ તો રાજકોટનો એક પણ એવો નહીં હોય કે જ્યાં ફૂટપાથ, રસ્તા ઉપર નાનું-મોટું દબાણ ખડકાઈ ગયું ન હોય. આ પ્રકારના દબાણને કારણે જ દરરોજ અકસ્માત પણ થઈ રહ્યા છે ત્યારે ભવિષ્યમાં આ પ્રકારના બનાવોને અટકાવી શકાય તે માટે મહાપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા ખડકાઈ ગયેલા દબાણો ઉપર તૂટી પડવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને લાખાજીરાજ રોડ અને રૈયા રોડ કે જ્યાં દબાણ હટાવ શાખા દ્વારા વારંવાર ડ્રાઈવ કરવામાં આવી રહી છે આમ છતાં દબાણો દૂર થવાનું નામ ન લઈ રહ્યા હોય હવે પોલીસ અને મહાપાલિકા એક સાથે ત્રાટકીને કાર્યવાહી કરશે.
આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનિષ ગુરવાણીએ જણાવ્યું કે મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ડીસીપી (ટ્રાફિક) પૂજા યાદવ તેમજ ટ્રાફિક બ્રાન્ચના તમામ પીઆઈ, દબાણ હટાવ શાખાના અધિકારી, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓની એક બેઠક મળી હતી જેમાં શહેરભરમાંથી દબાણો દૂર કરવા માટે પોલીસ અને મહાપાલિકા સાથે મળીને કેવી રીતે કાર્યવાહી કરી શકે તેનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું સાથે સાથે શહેરમાં રસ્તા, બ્રિજ સહિતના કામ માટે ટ્રાફિક સિગ્નલ બંધ કરવામાં આવ્યા છે તેને તૂર્તમાં શરૂ કરી દેવા, પોલીસ દ્વારા જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં સ્પીડબે્રકરનું સુચન કરવામાં આવે એટલે તેને ઉભા કરવા સહિતના નિર્ણયો લેવામાં આવ્યા હતા. એકંદરે દબાણો દૂર કરવાની કાર્યવાહી સતત ચાલું રાખવા ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.