અગ્નિવીરોના મૃત્યુ અંગે મોદી અને રાજનાથ જવાબ આપે
મહારાષ્ટ્રનાં નાસિક ખાતે તાજેતરમાં જ અગ્નિવીરની તાલીમ સમયે ઈન્ડિયન ફિલ્ડ ગન (તોપ)માંથી ગોળો ફેંકતી વખતે અચાનક બ્લાસ્ટ થતાં બે તાલીમાર્થીએ જીવ ગુમાવ્યા હતાં, જેમાં જામકંડોરણા પંથકનાં આંચવડ ગામનાં વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલ (ઉ.વ.20) પણ શહીદ થયાં હતા. આ ઘટના મામલે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બે અગ્નિવીરની શહીદી મુદ્દે એક્સ પર પોસ્ટ કરી હતી. તેમણે ફરી અગ્નિવીર યોજના પર આંગળી ચીંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પર નિશાન સાધ્યું છે. કેટલાક સવાલો પણ કર્યા છે.
યોજના પર ઉઠાવ્યા સવાલ
રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘નાસિકમાં ટ્રેનિંગ દરમિયાન બે અગ્નિવીર ગોહિલ વિશ્વરાજસિંહ અને સૈફત શિતનું નિધન એક દુઃખદ ઘટના છે. તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ ઘટના ફરી અગ્નિવીર યોજના પર ગંભીર સવાલો ઉભા કરે છે અને ભાજપ સરકાર પર તેનો જવાબ આપવામાં અસફળ થઈ છે.’
રાહુલ ગાંધીએ એક પછી એક પોસ્ટ કરીને કેન્દ્ર સરકારને અનેક સવાલો પૂછી જવાબ માંગ્યા છે. તેમણે કહ્યું કે, ‘જે રીતે અન્ય જવાનોની શહીદી પર તેમના પરિવારને વળતર ચૂકવવામાં આવે છે, તે મુજબ ગોહિલ અને સૈફતના પરિવારોને સમયસર વળતર મળશે ?’