મોબાઈલ યુઝર્સને ઝટકો : મોબાઇલ કંપનીઓ રિચાર્જ પ્લાન મોંઘા કરવાની તૈયારીમાં, જાણો કેટલો થશે ભાવ વધારો
દેશમાં જુદી જુદી મોબાઈલ કંપનીઓ ફરી એક વાર રિચાર્જ પ્લાન મોંઘા કરી 10 થી 20 ટકાનો વધારો કરવાની વેંતરણમાં છે. જો આ ભાવવવધારો અમલમા આવશે તો છેલ્લા છ વર્ષમા કંપનીઓ દ્વારા આ ચોથો ભાવ વધારો હશે. ગત જુલાઇમા ખાનગી મોબાઈલ કંપનીઓ 25 ટકાનો વધારો કર્યો હતો. હાલ દેશના 120 કરોડ મોબાઇલ યુઝર્સ છે.
મીડિયા અહેવાલ અનુસાર, ટેલિકોમ કંપનીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ કરી રહી છે. આ ઉપરાંત, નિયમનકારી જરૂરિયાતો લાઇસન્સ ફી સહિતના ખર્ચ પણ ટેલિકોમ કંપનીઓ પર ભંડોળનું દબાણ લાવી રહ્યો છે. તાજેતરમાં, વોડાફોન-આઈડિયાએ સરકારને તેના સ્પેક્ટ્રમ લેણાં રૂપિયા 36,950 કરોડને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવા જણાવ્યું છે. આ રીતે વોડાફોન-આઈડિયામાં સરકારનો હિસ્સો 22.6 ટકાથી વધીને 49 ટકા થશે.
નિષ્ણાતો કહે છે કે અમે આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં 10 થી 20 ટકાના ટેરિફ વધારાની અપેક્ષા રાખીએ છીએ. આ ભાવ વધારા સાથે, ટેલિકોમ કંપનીઓ પ્રતિ યુઝર્સ તેમની સરેરાશ આવક એટલે કે ARPU વધારી શકશે. ત્યારબાદ આ ક્ષેત્રમાં આવકની દૃશ્યતા દેખાવા લાગશે. આ ભાવ વધારા પછી દેશની બે મોટી ટેલિકોમ કંપનીઓ, ભારતી એરટેલ અને રિલાયન્સ જિયોના ARPU 2025 અને 2027 ની વચ્ચે મજબૂત રીતે વધી શકે છે.
નિષ્ણાતો કહે છે કે વોડાફોન-આઈડિયાએ તાત્કાલિક તેના પ્લાનના દરો વધારવા જોઈએ જેથી 4G વિસ્તરણ અને 5G રોલઆઉટમાં વિલંબને આવરી શકાય. આ માટે કંપનીને મોટા રોકાણની જરૂર છે. ગયા વર્ષે જુલાઈમાં ભાવવધારો થયો હોવા છતાં, વોડાફોન-આઈડિયા યોગ્ય ઓપરેશનલ રિકવરી કરી શક્યું નથી. આનું મુખ્ય કારણ ગ્રાહકોની સંખ્યામાં સતત ઘટાડો અને 5G લોન્ચ કરવા માટે મોટા પાયે રોકાણ છે.