મિડલ ઈસ્ટ સંઘર્ષ: યુદ્ધ વચ્ચે રશિયાએ આપ્યું મોટું આશ્વાસન: ભારતને તકલીફ નહી પડવા દઈએ, તેલ-ગેસ આપવાની ખાતરી
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેતા વિશ્વના અનેક દેશો ઉપર ઇંધણનો પુરવઠો ખોરવાઈ જવાનું જોખમ ઉભું થયુ છે. આ માર્ગેથી ભારતના પણ ઓઈલ ટેન્કર પસાર થાય છે ત્યારે આવી સ્થિતિમાં રશિયાએ ભારત સાથેની દોસ્તી નિભાવી છે. અને જાહેરાત કરી છે કે, જો ભારતને તેલ અને ગેસના પુરવઠાની અછતનો સામનો કરવો પડશે તો રશિયા આ પુરવઠો પૂરો પાડશે.
ભૂતકાળમાં અનેક વખત રશિયા ભારત માટે મદદરૂપ ભાગીદાર સાબિત થયું છે. ગયા વર્ષે નવી દિલ્હીની મુલાકાત દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ ભારતને સતત ઉર્જા પુરવઠાની ખાતરી આપી હતી.ધ મિન્ટના એક અહેવાલ મુજબ, રશિયન ફેડરેશન દૂતાવાસના એક અધિકારી દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે ભારતની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે તૈયાર છીએ.”
રશિયન રાજદૂત ડેનિસ અલીપોવે એમ પણ જણાવ્યું હતું કે રશિયાએ હંમેશા ભારત માટે તેલનો પુરવઠો ખુલ્લો રાખ્યો છે.ઉર્જા પુરવઠામાં વિક્ષેપ હોવા છતાં, રશિયા ભારતની માંગને પૂર્ણ કરવાનું ચાલુ રાખશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કતાર એનર્જીએ 2 માર્ચ સુધી LNG (પ્રવાહી કુદરતી ગેસ) અને સંબંધિત સામગ્રીનો પુરવઠો સ્થગિત કરી દીધો છે.
ભારતને મળતો ઇંધણનો પુરવઠો જોખમમાં છે : રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની કરી ટીકા
અમેરિકા અને ઇઝરાયલના ઇરાન સામે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યુ છે કે, આ યુદ્ધને લીધે ભારતને મળતા ઇંધણના પુરવઠા ઉપર જોખમ છે અને વડાપ્રધાન મોદીએ કોઈ ટિપ્પણી કરી નથી.
રાહુલે આજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યું, “દુનિયા અસ્થિર તબક્કામાં પ્રવેશી ગઈ છે. એક તોફાન આવી રહ્યું છે. ભારતનો તેલ પુરવઠો જોખમમાં છે.” આનું કારણ એ છે કે આપણી આયાત હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. LPG અને LNG માટે પરિસ્થિતિ વધુ ખરાબ છે. ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધ આપણા પડોશમાં પહોંચી ગયું છે. હિંદ મહાસાગરમાં એક ઈરાની યુદ્ધ જહાજને તોડી પાડવામાં આવ્યું હતું. છતાં, વડા પ્રધાન મોદીએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. આવા સમયે, આપણને સ્થિર નેતૃત્વની જરૂર છે. તેનાથી વિપરીત, ભારતના વડા પ્રધાન એવા છે જે સમાધાન કરી રહ્યા છે અને તેમણે આપણી વ્યૂહાત્મક સ્વાયત્તતાનો ત્યાગ કર્યો છે.”
