દેશના કયા રાજ્યમાં મેઘતાંડવ ? કેટલાના મોત ? જુઓ
દેશના કેટલાક રાજ્યોના શહેરો અને ગામોમાં સોમવારે પણ આફત સાથે અતિ ભારે વરસાદ અને પૂરને લીધે તબાહી જોવા મળી હતી. દિલ્હી, બેંગલુરુ, જયપુર, પટણા, હૈદ્રાબાદ અને ઉત્તરાખંડમાં દુર્ઘટનાઓમાં છેલ્લા 24 કલાકમાં 32 લોકોના મોત થયા હતા. અનેક રાજ્યોમાં શહેરો અને ગામડા ડૂબી રહ્યા છે અને સેંકડો માર્ગો બંધ પડી ગયા છે. રાજસ્થાન હિમાચલ અને ઉત્તરાખંડમાં સડકો નદી બની ગઈ હતી. બધા જ નદી નાળા બે કાંઠે વહી રહ્યા હતા. રાજસ્થાનમાં સવાઇ માધોપુરમાં એક નાનો ડેમ તૂટી જતાં અનેક વિસ્તારો ડૂબી ગયા હતા. લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા હતા.
રાજસ્થાનમાં વરસાદના કારણે 24 કલાકમાં 20 લોકોના મોત થયા હતા. ડૂબી જવાથી 18 અને મકાન ધરાશાયી થવાથી 2ના મોત થયા હતા. ભારે વરસાદને કારણે જયપુર સહિત 5 જિલ્લામાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. અહીં 7 ન જિલ્લાઓમાં પૂર આવ્યા હતા. લોકોને બચાવવા માટે ઓપરેશન હાથ ધરાયું હતું.
ગંગા નદી ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઉછળી રહી છે. યુપીમાં ગંગા-યમુના કિનારે આવેલા 15 જિલ્લામાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. બિહારમાં ગંગા અને ગંડક સહિત 4 મોટી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
હિમાચલ પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં રવિવારની મોડી રાતથી વરસાદ ચાલુ હતો. . ઉનાના હરૌલીના બાથરીમાં ચાર બાળકો પૂરમાં વહી ગયા હતા. ત્રણના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે એક લાપતા છે.
દિલ્હીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
દિલ્હી એનસીઆરમાં બે દિવસથી વરસાદ ચાલુ છે. ખરાબ હવામાનની અસર દિલ્હી એરપોર્ટ પર જોવા મળી હતી. 3 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી. 2ને જયપુર અને એકને લખનૌ મોકલવામાં આવ્યા હતા. રવિવારે સાંજે પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.