મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી
હત્યારી પત્નીની વધુ એક ઘટના સામે આવી છે. ભારતમાં એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પત્નીએ જ પતિની હત્યા કરી હોય ત્યારે વધુ એક ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું ઢીમ ઢાળી દીધું હતું. મેઘાલયના હનીમૂન હત્યાકાંડ મામલે મોટો ખુલાસો થયો છે કે સોનમ જેણે 28 દિવસ પહેલા રાજા રઘુવંશી સાથે સાત ફેરા લીધા હતા તેણે જ પોતાના પતિની પ્રેમી સાથે મળીને હત્યા નિપજાવી હતી. ત્યારે આ મામલે પોલીસે હત્યારી પત્નીને પકડી લિધી છે અને વધુ તપાસ કરી રહી છે.

11 મેના રોજ લગ્ન, 20 મેના રોજ હનીમૂન અને 23 તારીખે હત્યા
રાજા રઘુવંશી અને સોનમના લગ્ન 11 મેના રોજ ઇન્દોરમાં થયા હતા. પરિવાર ખુશ હતો, સંબંધીઓએ નવદંપતીને આશીર્વાદ આપ્યા અને 20 મેના રોજ બંને શિલોંગમાં હનીમૂન માટે રવાના થયા. 22 મેના રોજ, દંપતી નોંગરિયાટ ગામમાં શિપ્રા હોમસ્ટેમાં રોકાયું. તેઓએ બીજા દિવસે સવારે 6 વાગ્યે ચેકઆઉટ કર્યું અને ત્યારથી, બંનેના મોબાઇલ બંધ હતા. 24 મેના રોજ, સ્કૂટી માવલાખિયાટથી લગભગ 25 કિમી દૂર ઓસારા હિલ્સના પાર્કિંગમાં ત્યજી દેવાયેલી મળી આવી. આ પછી, રાજા અને સોનમનો સામાન જંગલમાં મળી આવ્યો અને 2 જૂનના રોજ, રાજાનો મૃતદેહ વેઇસાવડોંગ ધોધ પાસે એક ઊંડા ખાડામાં મળી આવ્યો. તેની ઓળખ તેના હાથ પરના ટેટૂ દ્વારા થઈ.

17 દિવસ પછી સોનમે ફોન કર્યો
સોનમ 9 જૂનના રોજ સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે ગાઝીપુરના નંદગંજ વિસ્તારમાં એક ઢાબા પર પહોંચી. ત્યાંથી, તેણીએ ઢાબા ઓપરેટરનો ફોન લીધો અને તેના ભાઈને વીડિયો કોલ કર્યો અને કહ્યું કે તે ગાઝીપુરમાં છે. ભાઈએ તાત્કાલિક ઈન્દોર પોલીસને જાણ કરી, જેમણે ગાઝીપુર પોલીસનો સંપર્ક કર્યો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સોનમને મેડિકલ તપાસ માટે વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી. તપાસમાં કોઈ ઈજા કે હુમલાના નિશાન મળ્યા નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનમનું એક યુવક સાથે અફેર હતું, જે લગ્ન પહેલા પણ સક્રિય હતો. લગ્ન પછી પણ બંને સંપર્કમાં રહ્યા.

સોનમે રાજાની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું
સોનમે પ્રેમી સાથે મળીને રાજાની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું અને પ્રેમી સાથે મળીને જ શિલોંગમાં હત્યા કરી હતી. રાજાની હત્યામાં કુલ ચાર લોકો સામેલ હતા. તેમાંથી ત્રણની ઈન્દોરથી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ઉત્તર પ્રદેશનો છે જે હાલમાં ફરાર છે. મેઘાલયના ડીજીપી એલ. નોંગરાંગે પુષ્ટિ આપી છે કે ઈન્દોરના રહેવાસી રાજા રઘુવંશીની હત્યામાં તેની પત્ની સોનમ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગાઝીપુરથી કસ્ટડીમાં લેવાયેલી સોનમની પૂછપરછ ચાલી રહી છે.

સીસીટીવી ફૂટેજ અને ઓડિયો કોલથી ઘણા રહસ્યો ખુલ્યા
22 મેના રોજ શિલોંગમાં એક હોટલની બહાર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સોનમ અને રાજા સ્કૂટી પર આવતા અને બેગ રાખતા જોવા મળે છે. આ એ જ સ્કૂટી છે જે પાછળથી ત્યજી દેવાયેલી મળી આવી હતી. આ ઉપરાંત, સોનમે છેલ્લી વાર 23 મેના રોજ બપોરે 1.30 વાગ્યે રાજાની માતા ઉમા દેવી સાથે વાત કરી હતી. કોલમાં સોનમે કહ્યું, “માતા, તે મને જંગલમાં ફરવા લઈ જઈ રહ્યો છે, ધોધ જોવા આવ્યા છીએ…” અડધા કલાક પછી, ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. ઓડિયો કોલમાં, સોનમે નિર્દોષતાથી ઉપવાસ, ખોરાકની ફરિયાદો અને શ્વાસ લેવામાં તકલીફ વિશે વાત કરી. પરંતુ હવે તે જ સોનમ પર હત્યાનો આરોપ છે.
આ પણ વાંચો : સોનુ પહેરવાનો શોખ વૃધ્ધ માટે બન્યો મોત : પ્રેમી યુગલે ખૂન કરી લૂંટ ચલાવી, જાણો કેવી રીતે ઘડાયો ઘાતકી હત્યાનો પ્લાન?

કોણ છે આ હત્યાનો માસ્ટરમાઇન્ડ?
પોલીસે પુષ્ટિ આપી છે કે સોનમ રઘુવંશીએ તેના પ્રેમી રાજ કુશવાહાને અને તેના પતિ રાજાને મારવા માટે હત્યારાઓને રાખ્યા હતા. લગ્ન પહેલા સોનમનો રાજ કુશવાહ સાથે પ્રેમ સંબંધ હતો અને તે આ હત્યાનો મુખ્ય સૂત્રધાર છે.

પિતાની ફેક્ટરીમાં પ્રેમ પાંગર્યો!
કેસની તપાસમાં જાણવા મળ્યું કે સોનમના પિતા ઇન્દોરમાં એક નાની પ્લાયવુડ ફેક્ટરી ધરાવે છે, જ્યાં રાજ કુશવાહ કામ કરતા હતા. સોનમ ઘણીવાર ફેક્ટરી ઓફિસમાં આવતી હતી અને અહીં જ બંને પ્રેમમાં પડ્યા હતા. રાજ કુશવાહ સોનમ કરતા 5 વર્ષ નાના છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ પ્રેમ સંબંધને કારણે, સોનમે રાજ સાથે મળીને રાજાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
પોલીસ હવે આ હત્યાના કાવતરા અને અન્ય શંકાસ્પદોની ભૂમિકાની તપાસ કરી રહી છે. આ કેસમાં ચોથા આરોપી આનંદની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સોનમને ગાઝીપુરથી કસ્ટડીમાં લેવામાં આવી છે અને ત્રણ અન્ય આરોપીઓને ઇન્દોરથી પકડવામાં આવ્યા છે.