મનીષ સિસોદિયા ૫૩૦ દિવસ પછી જેલમુક્ત
દિલ્હી લીકર પોલિસી કેસમાં અંતે ૫૩૦ દિવસ સુધી તિહાડ જેલમાં રહ્યા બાદ દિલ્હીના ભૂતપૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા જામીન પર મુક્ત થયા છે. સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બીઆર ગવઈ અને કે.વી.વિશ્વનાથનની બેન્ચે તેમની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ બંને દ્વારા નોંધાયેલા કેસમાં જામીન આપ્યા હતા.કોર્ટે સિસોદિયાને બે જામીન સાથે રૂા.૧૦ લાખના જામીન બોન્ડ આપવા, તેમનો પાસપોર્ટ સરેન્ડર કરવા અને અઠવાડિયામાં બે વાર સોમવાર અને ગુરુવારે તપાસ અધિકારી સમક્ષ રિપોર્ટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
જસ્ટિસ બીઆર ગવઈ અને અનુસંધાન પાના નં.૧૯ જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે, આમ આદમી પાર્ટીના નેતાને ટ્રાયલ વિના અમર્યાદિત સમય માટે જેલમાં રાખવો એ તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. બેન્ચે જણાવ્યું કે મનીષ સિસોદિયા ૧૭ મહિનાથી કસ્ટડીમાં છે અને ટ્રાયલ હજુ સુધી શરૂ થઈ નથી, તેમને ઝડપી ટ્રાયલના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે. ઉપરાંત અગામી દિવસોમાં ટ્રાયલ પૂર્ણ થવાની કોઈ શક્યતા પણ નથી અને ટ્રાયલ પૂર્ણ કરવાના હેતુસર તેમને જેલના સળિયા પાછળ રાખવા એ કલમ ૨૧નું ઉલ્લંઘન છે.
સીબીઆઇ અને ઇડીની દલીલ ફગાવાઇ
સિસોદિયાએ ટ્રાયલ કોર્ટમાં અરજી કરવી જોઈએ અને સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી ચાલી શકે તેમ નથી એવી સીબીઆઇ અને ઇડી એ કરેલી દલીલ સર્વોચ્ય અદાલતે ફગાવી દીધી હતી.સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ તો સાપ સિડીની રમત જેવું થશે.ખંડપીઠે કહ્યું કે આ કેસોમાં જામીન મેળવવા માટે સિસોદિયાએ ટ્રાયલ કોર્ટમાં મોકલવા એ ન્યાયની સાથે કપટ હશે.