ફેબ્રુઆરી સુધીમાં રાજકોટના મુખ્ય રસ્તા જ નહીં, શેરી-ગલી પણ ‘ટનાટન’ બનાવો : શાસકોનો અધિકારીઓને આદેશ
આ વર્ષે એકધારો નહીં બલ્કે છૂટક છૂટક 37 ઈંચ જેટલો વરસાદ રાજકોટમાં પડ્યો આમ છતાં રસ્તાની હાલત ‘હાડપીંજર’ જેવી થઈ જતાં મહાપાલિકાના શાસકો ઉપર છેલ્લા ઘણા મહિનાઓથી માછલા ધોવાઈ રહ્યા છે. કોંગે્રસ અને આમ આદમી પાર્ટીએ પણ રસ્તાની હાલતને મહાપાલિકાની ચૂંટણીનો મુદ્દો બનાવી લીધો હોવાથી ભાજપે પણ તેનો જવાબ આપવા માટે તૈયારી કરી લીધી છે. ફેબ્રુઆરી બાદ ગમે ત્યારે મહાપાલિકાની ચૂંટણી આવી જાય તેમ હોવાથી શાસકોએ ફેબ્રુઆરી સુધીમાં શહેરના મુખ્ય રસ્તા જ નહીં પરંતુ શેરી-ગલીને પણ ‘ટનાટન’ બનાવવા માટે અધિકારીઓને આદેશ આપ્યો હતો.
આ અંગે મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર ઉપરાંત ચાર નાયબ મ્યુનિસિપલ કમિશનર તેમજ સિટી ઈજનેર વચ્ચે એક બેઠક મળી હતી જેમાં એવો આદેશ છૂટ્યો હતો કે ફેબ્રુઆરી સુધીમાં તમામ રસ્તા બરાબર થઈ જવા જોઈએ. આ ઉપરાંત કયા રસ્તાનું કામ ક્યાં પહોંચ્યું છે તેનો દૈનિક રિપોર્ટ તૈયાર કરી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને આપવાનો રહેશે સાથે સાથે જે વોર્ડમાં રસ્તાકામ ચાલતું હોય ત્યાંના કોર્પોરેટર સાથે પણ નિયમિત સંકલન કરવાનું રહેશે.
અધિકારીઓને એવો આદેશ પણ આપવામાં આવ્યો હતો કે જો રસ્તાકામમાં એજન્સી દાંડાઈ કરતી હોય તો તેને નોટિસ ફટકારી દાંડાઈ કરવાનું કારણ જાણવાનું રહેશે અને તે કારણ પદાધિકારીઓને પણ જણાવવાનું રહેશે. ખાસ કરીને અમુક વોર્ડમાં એક કોર્પોરેટરને રસ્તાકામ ચાલી રહ્યાનું જાણકારી હોય છે જ્યારે બાકીના ત્રણ કોર્પોરેટરને હોતી નથી એટલા માટે આવું ન બને તે માટે તમામને જાણ કરવાની રહેશે. ખાસ કરીને ડીઆઈ પાઈપલાઈનનું કામ જ્યાં ચાલી રહ્યું છે તેને સમયસર પૂર્ણ કરીને ત્યાં મેટલિંગ કરવા પણ આદેશ અપાયો હતો. આ ઉપરાંત નવું ખોદકામ શરૂ કરવા પણ તાકિદ કરાઈ હતી.
