મહારાષ્ટ્રમાં મહાયુતિ કે મહાઅપસેટ ? આજે ફેંસલો
બહુમતિ ન મળે તો મહાયુતિનો પ્લાન-B તૈયાર હોવાની ચર્ચા
મુખ્યમંત્રી પદ માટે બંને તરફ બેઠકો અને અટકળોનો દૌર
મહારાષ્ટ્રમાં ફરી મહાયુતિની સરકાર રચાશે કે મહાઅપસેટ થશે તેનો નિર્ણય શનિવારે બપોર સુધીમાં થઇ જશે. આજે શનિવારે મહારાષ્ટ્રમાં મત ગણતરી હાથ ધરાશે અને બપોર સુધીમાં કોની સરકાર રચાશે તેનો અંદાજ આવી જશે. મત ગણતરીની પૂર્વ સંધ્યાએ મહાયુતી અને મહાવિકાસ આઘાડીના નેતાઓએ જીતના દાવા કર્યા છે. આ દાવાની સાથે સાથે સરકાર રચાય તો મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે પણ ચર્ચાઓ શરુ થઇ ગઈ છે. હાલના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતે રેસમાં નથી એવું કહીને ઘણાને વિચારતા કરી દીધા છે તો બીજી તરફ મહા વિકાસ અઘાડીની સરકાર આવશે તો મુખ્યમંત્રી કોંગ્રેસનાં હશે તેવી જાહેરાત પ્રદેશ અધ્યક્ષ પટોલેએ કરી દીધા બાદ શિવસેનાને વાંકુ પડ્યું છે. આવા સંજોગોમાં ચૂંટણીના પરિણામ પછી પણ રાજકીય દાવપેચ જોવા રસપ્રદ રહેશે.
એક્ઝિટ પોલમાં મહાયુતિની તરફેણમાં આગાહી કરવામાં આવી છે. જો કે એક્ઝિટ પોલ દરેક વખતે સાચા જ હોય તેવું પણ જરૂરી નથી. તેથી તમામ પક્ષોએ પોતપોતની તૈયારીઓ શરુ કરી દીધી છે. એવામાં હવે પ્રશ્ન એ છે કે જો મહાયુતિએ 145નો આંકડો પાર ન કર્યો તો તેની સરકાર કેવી રીતે બનશે. આ માટે મહાયુતિએ ભાજપની આગેવાની હેઠળ પ્લાન બી તૈયાર કરી લીધો હોવાની પણ ચર્ચા છે.
મહાયુતિના નેતાઓને વિશ્વાસ છે કે તે સત્તા પર આવશે. પરંતુ સુત્રો પરથી જાણવા મળ્યું છે કે જો મહાયુતિ પાર્ટીને બહુમત ન મળે તો તેઓ બહુજન વિકાસ અઘાડી, એમએનએસ અને પ્રહાર જનશક્તિ જેવી સ્વતંત્ર રૂપે લડતી પાર્ટીઓ સાથે સરકાર ગઠબંધનમાં સમર્થન આપનારને સત્તામાં ભાગીદારી પણ આપી શકે છે.
મહાવિકાસ અઘાડીને પણ એક્ઝિટ પોલ પર ભરોસો નથી. તે પણ પોતાની જીતનો દાવો કરી રહી છે. એવામાં મહાવિકાસ અઘાડીમાં પણ બેઠકોનો દોર શરૂ થયો છે. મહાવિકાસ આઘાડીએ બળવાખોર અપક્ષ ઉમેદવારોનો સંપર્ક શરૂ કર્યો છે. મહાવિકાસ આઘાડીના નેતાઓ જીતી શકે તેવા ઉમેદવારોના સંપર્કમાં છે.
કોણ કેટલી બેઠકો પર મેદાનમાં?
મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિ અને વિપક્ષ એમવીએ વચ્ચે મુખ્ય હરીફાઈ છે. મહાયુતિમાં ભાજપે 149 બેઠકો પર, શિવસેના (શિંદે) 81 બેઠકો પર અને અજિત પવારની એનસીપીએ 59 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે મહાવિકાસ અઘાડી માં કોંગ્રેસ 101 બેઠક પર, શિવસેના (ઉધ્ધવ) 95 અને એન.સી.પી. (શરદ પવાર ) 86 બેઠક પર ચૂંટણી લડી રહી છે.