પાકિસ્તાની સ્પીનરને ખરીદવા પર કાવ્યા મારન વિવાદમાં ફસાઇ: SRHના બોયકોટની માંગ, જુઓ શું કહ્યું BCCIએ
લંડનમાં ‘ઘ હન્ડ્રેડ’ની પહેલી પુરુષ ખેલાડીઓની હરાજી બાદ મોટો વિવાદ શરૂ થઈ ગયો છે. પાકિસ્તાની સ્પીનર અબરાર અહમદને કાવ્યા મારનની માલિકીવાળી ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ લીડસે ખરીદ કરતાં જ સોશિયલ મીડિયા ઉપર ભારતીય ચાહકોના ગુસ્સાનો પાર રહ્યો નથી. આ ફ્રેન્ચાઈઝીની કમાન ઉદ્યોગપતિ કલાનિધિ મારનના સન ગ્રુપના હાથમાં છે અને ટીમની સીઈઓ તેમની પુત્રી કાવ્યા મારન છે. આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદની સીઈઓ પણ કાવ્યા જ છે. પાકિસ્તાની ખેલાડીને ખરીદવાના નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર કાવ્યા મારનની જોરદાર ટીકા થઈ રહી છે.
પાકિસ્તાનના લેગ સ્પિનર અબરાર અહમદની મુળ કિંમત 92.5 લાખ રૂપિયા હતી પરંતુ હરાજીમાં તેને ખરીદવા માટે સનરાઈઝર્સ લીડસ અને ટ્રેન્ટ રોકેટ્સ વચ્ચે લાંબી હરિફાઈ ચાલી હતી. અંતમાં સનરાઈઝર્સે 2.34 કરોડ રૂપિયામાં અબરારને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. અબરાર અહમદ આ પ્રકારે કોઈ ભારતીય માલિકીવાળી ટીમ માટે ઘ હન્ડ્રેડમાં રમનારો પ્રથમ પાકિસ્તાની ખેલાડી પણ બન્યો છે.
વિવાદ વચ્ચે ટીમના હેડ કોચ ડેનિયલ વિટોરીએ આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. તેણે જણાવ્યું કે ટીમની પહેલી પસંદ ઈંગ્લેન્ડનો સ્ટાર સ્પિનર આદિલ રશિદ હતો પરંતુ હરાજીમાં તેને સાઉદર્ન બ્રેવે ખરીદી લીધો હતો. આ પછી ટીમે વિદેશી સ્પીનરના વિકલ્પ ચકાસતાં અબરાર અહેમદને સામેલ કરાયો હતો. ટીમની રણનીતિ પ્રમાણે એક મુખ્ય સ્પિનરને ટીમમાં લેવાનો જ હતો. ટીમ પાસે 4થી 5 વિકલ્પ હતા જેમાં બાંગ્લાદેશનો રિશાદ હુસેન, પાકિસ્તાનનો ઉસ્માન તારીખ, અબરાર અહેમદ સહિતના સામેલ હતા.
BCCIએ કહ્યું, આ અમારું અધિકારક્ષેત્ર નથી
વિવાદ વધ્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. બોર્ડના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું કે આ મામલો ક્રિકેટ બોર્ડના અધિકાર ક્ષેત્રમાં આવતો નથી. આ વિદેશી લીગનો મામલો છે અને લીગનો નિર્ણય તેના સંચાલકોએ જ લેવાનો હોય છે નહીં કે BCCIએ.
2008 થી પાકિસ્તાની ખેલાડીઓ IPLમાં રમ્યા નથી
નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવને કારણે, 2008 થી કોઈ સક્રિય પાકિસ્તાની ખેલાડી IPL માં રમ્યો નથી. જોકે, પાકિસ્તાની ખેલાડીઓ વિશ્વભરની અન્ય T20 લીગમાં રમવાનું ચાલુ રાખ્યું છે, જેમાં IPL ફ્રેન્ચાઇઝી સાથે સંકળાયેલી ઘણી ટીમોમાં ભાગ લીધો છે.
