બેન્કો હોમ લોન સાથે વીમો વેંચે તે ગુનો છે: નિર્મલા સીતારામને બેન્કોને લગાવી ફટકાર, હોમલોન લેનાર પાસે વીમો લેવા દબાણ
નાણામંત્રી નિર્મલા સીતારામને સોમવારે કેટલીક બેન્કોની કાર્યપધ્ધતી ઉપર ફટકાર લગાવી હતી. તેમણે કહ્યુ હતું કે, કેટલીક બેન્કો તેનું મૂળ કામ કરવાને બદલે વીમા વેંચવા ઉપર વધુ ધ્યાન આપી રહી છે પણ આ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો બને છે. તેમણે ઉમેર્યું હતું કે, હોમલોન લેવા આવનાર ગ્રાહક ઉપર વીમો લેવાનું દબાણ કરવામાં આવે છે જે અયોગ્ય છે. તેમણે આ પ્રેક્ટીસ બંધ કરવા આદેશ પણ આપ્યો હતો .
રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની બોર્ડ સાથેની બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં નાણામંત્રી નિર્મલાએ અમેરિકાના ટેરિફથી લઈને ભારત-અમેરિકા વેપાર સોદા સુધીના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચેનો સોદો યોગ્ય માર્ગ પર છે.
નાણામંત્રીએ કહ્યુ હતું કે, “બેંકોએ તેમના મુખ્ય વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ… મારો ગુસ્સો હંમેશા રહ્યો છે… જ્યારે વીમાની જરૂર ન હોય ત્યારે તમે વધુ સમય વીમા વેચવામાં વિતાવી રહ્યા છો. બેન્કોએ ખરેખર તો ગ્રાહકોની શક્તિ, તેમની નબળાઈ અને તેમના વ્યવસાયના ચક્રને સમજવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
રીઝર્વ બેન્કે થોડા દિવસ પહેલા જ આવા વીમાના ખોટી રીતે થતા વેંચાણ સંદર્ભે એક માર્ગદર્શિકા બહાર પાડી હતી. જે અનુસાર, જો આવું વેંચાણ કરવામાં આવશે તો બેન્કે ગ્રાહક દ્વારા ચૂકવવામાં આવેલી સંપૂર્ણ રકમ પરત કરવી પડશે અને માન્ય નીતિ મુજબ ખોટી રીતે વેચાણને કારણે થતા કોઈપણ નુકસાન માટે ગ્રાહકને વળતર આપવું પડશે. આ બાબતે પ્રજા પાસેથી ૪ માર્ચ સુધીમાં સૂચનો માગવામાં આવ્યા છે.
આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમન અને રીઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ દેશની આર્થિક સ્થિતિ, સોના-ચાંદીની આયાત અને અમેરિકા દ્વારા લાદવામાં આવતા સંભવિત ટેરિફ મુદ્દે મહત્ત્વની સ્પષ્ટતા પણ કરી હતી.
સોના-ચાંદી અંગે નાણામંત્રીએ ‘દેશમાં સોના અને ચાંદીની આયાત હાલ ચિંતાજનક સ્તરે નથી. વૈશ્વિક સ્તરે કેન્દ્રીય બેન્કો દ્વારા થઈ રહેલી મોટી ખરીદીને કારણે સોનાના ભાવ વધ્યા છે. ભારતીય ઘરોમાં સોનું પરંપરાગત રોકાણ છે અને તહેવારોમાં તેની માંગ રહે જ છે. જોકે, ભાવ હજુ ચોક્કસ મર્યાદા પાર કરી શક્યા નથી અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.’
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા સંભવિત ટેરિફ ફેરફારો અંગે નાણાંમંત્રી નિર્મલા સીતારમને કહ્યું હતું કે, ‘અમેરિકાના ટેરિફ ફેરફારોની અર્થતંત્ર પર શું અસર થશે તે અંગે ટિપ્પણી કરવી હજુ વહેલું ગણાશે. વાણિજ્ય મંત્રી પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.
