અમેરિકન સબમરીનના હુમલામાં ઈરાની યુદ્ધ જહાજ ડૂબ્યું: હિંદ મહાસાગરમાં શ્રીલંકા નજીક જળસમાધિ, 87 નૌસૈનિકોના મોત
બુધવારે હિંદ મહાસાગરમાં શ્રીલંકાના દક્ષિણ કિનારા નજીક અમેરિકન સબમરીનના હુમલામાં ઈરાનનું યુદ્ધજહાજ ડૂબી જતા ઓછામાં ઓછા 87 નૌસૈનિકોના મોત થયા હતા જ્યારે 32 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. અમેરિકાના રક્ષા સચિવ પીટ હેગસેથે આ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે અમેરિકન સૈન્યની સબમરીને શ્રીલંકાના દક્ષિણ કિનારાથી આશરે 40 નોટિકલ માઈલ દૂર ઈરાની નૌકાદળના ‘IRIS Dena’ નામના ફ્રિગેટ પર હુમલો કર્યો હતો. હુમલા બાદ જહાજ સમુદ્રમાં ડૂબી ગયું હતું.
આ ઘટનાના સમયે જહાજમાં અંદાજે 180 જેટલા નૌસૈનિકો સવાર હતા. હુમલા પછી જહાજ તરફથી તાત્કાલિક મદદ માટે સંદેશ મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ વિસ્તારમાં શોધ અને બચાવ અભિયાન હાથ ધરાયું હતું. બચાવ કામગીરી દરમિયાન સમુદ્રમાંથી અનેક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને 32 નૌસૈનિકોને જીવતા બચાવવામાં આવ્યા છે. બચાવાયેલા લોકોને સારવાર માટે શ્રીલંકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ હિંદ મહાસાગરના આ વિસ્તારમાં તણાવ વધી ગયો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘટનાને લઈને ચર્ચા તેજ બની છે.
ભારતની કવાયતમાંથી પરત ફરી રહ્યું હતું
‘IRIS Dena’ ઈરાન નૌકાદળનું મૌદગે-ક્લાસ ફ્રિગેટ છે. આ જહાજ તાજેતરમાં ભારતમાં આયોજિત આંતરરાષ્ટ્રીય નૌકાદળ સમીક્ષા IFR-2026 અને MILAN-2026 કવાયતમાં ભાગ લેવા માટે આવ્યું હતું. જહાજે વિશાખાપટ્ટણમ બંદરે પણ પોર્ટ કોલ કર્યો હતો અને બંગાળની ખાડીમાં 18 થી 25 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી નૌકાકવાયતમાં ભાગ લીધો હતો. કવાયત પૂર્ણ થયા બાદ જહાજ ઈરાન તરફ પરત ફરી રહ્યું હતું ત્યારે શ્રીલંકા નજીક હિંદ મહાસાગરમાં આ હુમલો થયો. લગભગ 95 મીટર લાંબું અને અંદાજે 1500 ટન વજનનું આ યુદ્ધજહાજ હતું અને એન્ટી-શિપ મિસાઇલ, એન્ટી-એર મિસાઇલ અને ટોર્પેડો જેવી લશ્કરી ક્ષમતા ધરાવતું હતું.
અમેરિકાએ કિંમત ચૂકવવી પડશે: ઇરાનની ધમકી
ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અગારચીએ જણાવ્યું કે આ જહાજ ભારતનું મહેમાન હતું.વિશાખાપટ્ટનમ થી પરત ફરતું હતું ત્યારે ઇરાનથી હજારો કિલોમીટર દૂર આંતરરાષ્ટ્રીય જળસીમામાં અમેરિકાએ વગર ચેતવણીએ દગાફટકાથી આ હુમલો કર્યો હોવાનો આક્રોશ વ્યક્ત કરી તેમણે અમેરિકાએ આ કૃત્યની કિંમત ચૂકવવી પડશે તેવી ચેતવણી આપી હતી.
ઈરાનનો પલટવાર: અમેરિકન ઓઈલ ટેન્કર પર હુમલો
અમેરિકન સબમરીન દ્વારા ઈરાનના યુદ્ધજહાજ ‘IRIS Dena’ પર કરાયેલા હુમલા બાદ ઈરાને પલટવાર કર્યો હોવાનું સામે આવ્યું છે. ઈરાનની રેવોલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (IRGC)એ પર્શિયન ગલ્ફના ઉત્તરીય વિસ્તારમાં અમેરિકન ઓઈલ ટેન્કર પર હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે.આ હુમલા બાદ અમેરિકન ટેન્કરમાં આગ લાગી હોવાનું ઈરાનની સરકારી મીડિયા દ્વારા જણાવાયું છે.
