પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતને લાગી શકે છે મોટો ઝટકો : આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ,ટીમ ઈન્ડિયા ટેન્શનમાં
પાકિસ્તાની ટીમે UAE સામે મેચ રમતા પહેલાં ભારે નાટક કર્યું હતું પરંતુ તેની પાવલી પણ ન ઉપજતાં નીચી મુંડી રાખીને રમવા ઉતરવું પડ્યું હતું. મેચમાં માંડ માંડ જીત મેળવી સુપર-4માં ટીમ પહોંચી તો ગઈ છે પરંતુ અહીં તેમનો સામનો ફરી તાકાતવર’ ભારત સામે થવાનો છે. રવિવારે 21મી સપ્ટેમ્બરે બન્ને વચ્ચે દુબઈના ગ્રાઉન્ડ ઉપર ફરી ટક્કર થશે. ત્યારે મેચ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. 19 સપ્ટેમ્બરના રોજ, ભારત અને ઓમાન વચ્ચે એશિયા કપનો અંતિમ ગ્રુપ સ્ટેજ મેચ રમાઈ રહ્યો હતો. આ મેચ દરમિયાન ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ ઘાયલ થયો હતો.
ટી. દિલીપે અક્ષર પટેલની ઈજા અંગે અપડેટ આપ્યું
ફિલ્ડિંગ કોચ ટી. દિલીપે અક્ષર પટેલ વિશે “ફાઇન” કહ્યું, જેનો અર્થ થાય છે “બાપુ ઠીક છે.” તેમણે વધુ કોઈ ટિપ્પણી કરી નહીં. તેમણે ઈજા અંગે કે અક્ષર પટેલ 21 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેની સુપર 4 મેચમાં રમશે કે નહીં તે અંગે કોઈ ટિપ્પણી કરી નહીં. પટેલ T20 ફોર્મેટમાં ભારત માટે મેચ-વિનર તરીકે ઉભરી આવ્યો છે. જો તે પાકિસ્તાન સામે નહીં રમે તો તે ભારત માટે મોટો ફટકો હશે.
નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ ઓમાન સામેની મેચ માટે પોતાના પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા હતા. જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તીને બહાર કરવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ અર્શદીપ અને હર્ષિત રાણાને સ્થાન આપવામાં આવ્યું હતું. પાકિસ્તાન સામે ભારત કયું કોમ્બિનેશન મેદાનમાં ઉતારશે તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો : રવિવારે ભારત-પાકિસ્તાન ફરી આમને-સામને : સુપર-4માં પણ હાથ નહીં મીલાવે ટીમ ઈન્ડિયા
રવિવારે ભારત-પાકિસ્તાન ફરી આમને-સામને
એશિયા કપની આઠ ટીમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. બન્ને ગ્રુપમાંથી ટોપ-2 ટીમને સુપર-4માં જગ્યા મળશે. ત્યાં તમામ ચાર ટીમ એક-બીજા સામે મુકાબલો કરશે. ભારતીય ટીમ સુપર-4ની પહેલી મેચમાં જ પાકિસ્તાન સામે રમશે. આ મેચ 21 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે આઠ વાગ્યે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પર રમાશે.
આ પહેલાં ભારત-પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરે પણ મુકાબલો થયો હતો જેમાં ભારતે સાવ સરળતાથી સાત વિકેટે જીત મેળવી હતી. ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો 28 સપ્ટેમ્બરે થશે અને તેમાં પણ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ શકે છે. સુપર-4માં ટોપ-2 પર રહેનારી ટીમ વચ્ચે એશિયા કપની ફાઈનલ મેચ રમાશે.
સુપર-4માં પણ હાથ નહીં મીલાવે ટીમ ઈન્ડિયા
એશિયા કપમાં ટોસ વખતે અને મેચ બાદ ભારતીય ટીમે હાથ ન મીલાવતા પાકિસ્તાને ભારે ઉધામો મચાવ્યો હતો પરંતુ તેનું કશું જ ઉપજ્યું ન્હોતું. હવે રવિવારે ફરી બન્ને મેચ રમવાના છે ત્યારે આ મેચમાં પણ ભારતીય ટીમ પાકિસ્તાની ખેલાડી સાથે હાથ મીલાવશે નહીં. બીજી બાજુ પાકિસ્તાન આ વાતને લઈને તૈયાર પણ થઈ ગયું છે.
