ગોંડલ તાલુકામાં નવનિર્મિત 2 આંગણવાડીનું કરાયુ લોકાર્પણ
મેતા ખંભાળીયામાં રૂ.1.25 કરોડના ખર્ચે બનનાર સીસી રોડનું પણ ખાત મૂહર્ત કરાયું
ગોંડલ તાલુકાના કેશવાડા અને મોટા સખપર ગામે નવી બનેલી આંગણવાડીનું લોકાર્પણ ગોંડલના ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે મેતા ખંભાળીયા ગામે રૂ.1.25 કરોડના ખર્ચે સી.સી.રોડના કામનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું.
બાળકોને પૂર્વ શિક્ષણ આપતી આંગણવાડી ગોંડલના કેશવાડા અને મોટા સખપર ગામે બનાવવામાં આવી છે. આ નવ નિર્મિત આંગણવાડીનું ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ તકે આંગણવાડીના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. બંને ગામોમાં આંગણવાડીનું લોકાપર્ણ કરવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. જ્યારે મેતા ખંભાળીયા ગામથી હનુમાનજી મંદિર સુધીના રૂ.1.25 કરોડના ખર્ચે બનનારા સી.સી.રોડના કામનું પણ ખાત મૂહર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ રાજૂભાઈ ડાંગર, જિલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવ્હાણે, ગોંડલ પ્રાંત અધિકારી, ટીડીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.