કેન્દ્ર સરકારને કઈ બાબતમાં સુપ્રીમ કોર્ટથી લાગ્યો ઝટકો ? જુઓ
ઔદ્યોગિક આલ્કોહોલ પર કાયદો બનાવવાની જવાબદારી કોની હશે? કેન્દ્રની કે રાજ્યની ? સુપ્રીમ કોર્ટે આ અંગે બુધવારે પોતાનો ચુકાદો આપ્યો હતો સુપ્રીમ કોર્ટે આઠ-એકની બહુમતીથી આપેલા ચુકાદામાં સાત જજોની બેંચના નિર્ણયને પલટી નાખ્યો હતો. બેન્ચે નિર્ણય આપતા કહ્યું કે ઔદ્યોગિક આલ્કોહોલ પર કાયદો બનાવવાનો રાજ્યનો અધિકાર છીનવી શકાય નહીં. આ રીતે સુપ્રીમ કોર્ટે 27 વર્ષ જૂના નિર્ણયને પલટી નાખ્યો હતો અને કેન્દ્ર સરકારને ઝટકો લાગ્યો હતો. આવા આલ્કોહોલ પર ટેક્સ નાખવાનો રાજ્યોને અધિકાર છે.
સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈ ચંદ્રચુડની બેન્ચે કહ્યું કે રાજ્ય સરકારોને ઔદ્યોગિક આલ્કોહોલના ઉત્પાદન, સપ્લાય પર નિયંત્રણ કરવાનો અધિકાર છે. 1997મા સાત જજોની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે કેન્દ્ર સરકાર પાસે ઔદ્યોગિક આલ્કોહોલના ઉત્પાદન પર નિયમનકારી સત્તા છે. આ મામલો 2010માં નવ જજની બેન્ચને મોકલવામાં આવ્યો હતો.
બુધવારે સુપ્રીમ કોર્ટમાં નવમાંથી આઠ જજો વતી ચુકાદો લખતા મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે કેન્દ્ર સરકાર પાસે આ અધિકાર નથી. જો કે, સુપ્રીમ કોર્ટની નવ જજની બેંચમાં જસ્ટિસ બી.વી. નાગરથ્ના બહુમતીના નિર્ણય સાથે અસંમત હતા અને પોતાનો અલગ ચુકાદો આપ્યો હતો. અહીં એ નોંધવું જરૂરી છે કે ઔદ્યોગિક આલ્કોહોલ માનવ વપરાશ માટે નથી.
સીજેઆઈ ચંદ્રચુડે કહ્યું હતું કે માદક શરાબ શબ્દમાં ઉત્પાદન, નિર્માણ અને વિતરણ સામેલ છે. બંધારણની 7 મી અનુસૂચીમાં ઔધ્યોગિક આલ્કોહોલ ઉત્પાદન અંગે રાજ્યોને જ કાયદો બનાવવાનો અધિકાર છે.