કેનેડામાં મીડિયાએ જસ્ટિન ટુડો ઉપર તડાપીટ બોલાવી વિપક્ષોએ પણ ઘેર્યા : પુરાવા હોય તો જાહેર કેમ નથી કરતા?
હરદીપસિંઘ નિજજર હત્યા કેસમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો માટે ‘ કરવા ગયા લાપસી અને થઈ ગઈ થૂલી’ જેવો ઘાટ ઘડાયો છે. તેમણે આ હત્યામાં ભારતની સંડોવણીના આક્ષેપો તો કર્યા અને પુરાવા ફાઈવ આઈ તરફથી મળ્યા હોવાની દાવો પણ કર્યો પણ હજુ સુધી નથી કોઈની ધરપકડ થઈ કે નથી પુરાવા જાહેર કર્યા. આ સંજોગોમાં કેનેડામાં ઘર આંગણે પણ પુરાવા રજૂ કરવા માટેનું દબાણ વધવા લાગ્યું છે.
કેનેડાના અગ્રણી અખબાર ટોરેન્ટો સને લખ્યું કે હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો કેનેડાના વડાપ્રધાન આક્ષેપ કરે એ ખૂબ ગંભીર વાત છે. પણ સાથે જ એ આક્ષેપ સાચા પણ સાબિત કરવા પડશે. અખબારે વિશેષમાં લખ્યું છે કે જો ખરેખર પુરાવા હોય તો જાહેર કરવા જોઈએ અને ભારતને જવાબદાર ફેરવવું જોઈએ.એ અહેવાલમાં કેનેડામાં ચાલતી ખાલી સ્થાની પ્રવૃત્તિઓ અંગે પણ સવાલ ઉઠાવાયા હતા. હિન્દુઓને કેનેડા છોડી જવાની ધમકીથી લઈ અને હિન્દુ મંદિરો પરના હુમલા તેમજ ગુરુદ્વારાઓની ભૂમિકા અંગે પણ આ અખબારે સરકારની નિષ્ક્રિયતાની ટીકા કરી હતી. હરદીપસિંહ કે નિઝર કોઈ સંત પુરુષ નહોતો એવું પણ આ અખબારે લખ્યું હતું.
નેશનલ પોસ્ટ નામના કેનેડાના બીજા એક અગ્રણી અખબારે પણ પુરાવા હોવા અંગે પરોક્ષ રીતે શંકા દર્શાવી હતી. અખબારે લખ્યું છે કે ઠોસ પુરાવા વગર જ જો જસ્ટિન ટુડોએ આક્ષેપો કર્યા હશે તો વૈશ્વિક સ્તરે કેનેડાની ભારે બદનામી થશે. બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ અને ખુદ જસ્ટિન ટુડોના પક્ષના સાંસદો પણ હવે અકળાયા છે અને વહેલી તકે પુરાવા જાહેર કરવા માટે માગણી ઉઠી છે.
તો ભારત કેનેડાના સંબંધોમાં વધુ કડવાશ આવશે
કેનેડાના ડિફેન્સ મિનિસ્ટર બિલ બ્લેરે કહ્યું કે હરદીપ સિંહ હત્યાનો મુદ્દો ભાજપ અને કેનેડા વચ્ચેના સંબંધોમાં પડકારરૂપ બની ગયો છે.તેમણે ઉમેર્યું કે કેનેડા અને ભારતના સંબંધો ખૂબ મહત્વના છે પણ સાથે જ આ કેસની પૂરતી તપાસ કરવાની અને જવાબદારી નક્કી કરવણી પણ અમારી ફરજ છે. જો આક્ષેપો સાચા સાબિત થશે તો ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં વધુ કડવાશ આવશે તેવી ચિંતા તેમણે વ્યક્ત કરી હતી
ગુરુદ્વારાઓ બળતામાં ઘી હોમી રહ્યા છે
કેનેડા શિક્ષક સમુદાયના બે સંગઠનો હવે ખુલ્લેઆમ ભારત સામે ઝેર ઓકવા લાગ્યા છે. ઓંટારિયા ગુરુદ્વારા સમિતિ અને બ્રિટિશ કોલમ્બિયા ગુરુદ્વારા કાઉન્સિલે હરદીપસિંઘ હત્યા કેસમાં ભારતની સંડોવણી અને કેનેડાના ઘરેલુ મામલામાં વિદેશી હસ્તક્ષેપ બાબતે બધા રાજકીય પક્ષોને એક થવા આહવાન કર્યું હતું અને સાથે જ નહીંતર ભવિષ્યમાં તેના ખરાબ પરિણામ ભોગવવાની ચેતવણી આપી હતી.
પુરાવા અંગે કેનેડા જુઠાણું ચલાવે છે
ભારત સરકારના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ કેનેડા કે અમેરિકા બેમાંથી એક પણ દેશે જી20 સમિટ પહેલા ભારત સાથે કોઈ ગુપ્ત માહિતી શેર નથી કરી. કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોડી થોમસ જી20 પહેલા ભારતમાં આવ્યા હતા અને તેમના સમકક્ષ સાથે મુલાકાત કરી હતી પણ ત્યારે પણ તેમણે હત્યામાં ભારતની સંડોવણી હોય એવા કોઈ પુરાવા રજૂ નહોતા કર્યા.