75 બેઠકો પર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ 49 પર સેના વિ.સેના, 36 પર બે પવાર વચ્ચે ટક્કર
મહારાષ્ટ્રમાં આજે મહાયુતી અને મહા વિકાસ અઘાડી વચ્ચે મહાજંગ
છેલ્લા એક મહિનાના હાઈ પ્રોફાઈલ પ્રચાર બાદ આજે મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે મતદાન થશે.
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મહારાષ્ટ્રમાં અભૂતપૂર્વ રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી.
2019 ની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ અને શિવસેનાનું ગઠબંધન તૂટ્યું. એનસીપીના અજીત પવારે ભાજપને ટેકો જાહેર કર્યો અને પછી પાછો ખેંચી લેતા માત્ર 80 કલાકમાં ભાજપની સરકારનું પતન થયું. ઉદ્ધવ ઠાકરે પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા. એ પછી શિવસેનાનું વિભાજન થયું. ભાજપના ટેકાથી એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા. અજીત પવારે કાકા શરદ પવાર પાસેથી એનસીપી પડાવી લીધી અને મહાયૂતીમાં સામેલ થઈ નાયબ મુખ્યમંત્રી બન્યા. મહારાષ્ટ્રના બંને શકિતશાળી પ્રાદેશિક પક્ષોના બે ફાડીયા થઈ ગયા.અને તે સાથે જ મહારાષ્ટ્રના રાજકારણમાં તદ્દન નવા સમીકરણો આકાર પામ્યા. મહારાષ્ટ્રના ઈતિહાસમાં પહેલી વખત બે પ્રાદેશિક પક્ષોના વિભાજિત જુથો સામ સામે ચૂંટણી લડી રહ્યા છે.
આ ચૂંટણીના પરિણામો સાચી શિવસેના કોની અને સાચી એનસીપી કોની એ પણ નક્કી કરશે. લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રએ મહાયુતીને એટલે કે ભાજપ, શિવસેના (શિંદે);અને એનસીપી (અજીત પવાર)ને કારમો ઝાટકો આપ્યો હતો. 2014 ની લોકસભાની ચૂંટણીમાં 23 બેઠકો મેળવનાર ભાજપ માત્ર નવ બેઠક મેળવી શકી હતી. શિંદે અને અજીત પવાર સાથેના ભાજપના ગઠબંધનને લોકોએ જાકારો આપ્યો હતો. કોંગ્રેસ સૌથી વધારે 13 બેઠકો જીતવામાં સફળ રહી હતી. ઉદ્ધવ ઠાકરે ની શિવસેના નો નવ બેઠક ઉપર અને શરદ પવારની એનસીપી નો આઠ બેઠક પર વિજય થયો હતો. શિવસેના ( શિંદે ) ને સાત અને એનસીપી (અજીત પવાર)ને માત્ર એક બેઠક મળી હતી.
આવી રાજકીય પૃષ્ઠ ભૂમિકા વચ્ચે મહારાષ્ટ્રના મતદારો આજે તેના નવા સુકાની માટે મતદાન કરશે. મહારાષ્ટ્રમાં 75 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. બીજી તરફ 49 બેઠકો પર સેના વિરુદ્ધ સેના અને 36 બેઠકો પર એનસીપી વિરોધ એનસીપી ટકરાશે.
રાજકીય વિશ્લેષકોએ મહારાષ્ટ્રની સ્થિતિને ભર્યા નાળિયેર સમાન ગણાવી છે. એક પણ ગઠબંધન વિજયનો દાવો કરી શકે તેવી સ્થિતિમાં નથી. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના, અસદુદ્દીન ઓવેસી ની એઆઇએમઆઇએમ તથા પ્રકાશ આંબેડકર ની વંચિત બહુજન અઘાડી જેવા પક્ષના ઉમેદવારો બંને ગઠબંધન માટે ખતરા રૂપ સાબિત થઈ શકે છે. આ સંજોગોમાં સર્જાયેલી રાજકીય અનિશ્ચિતતા વચ્ચે 2019 ના પરિણામો યાદ કરવાનું પ્રાસંગિક બની રહેશે.
એ ચૂંટણીમાં 105 બેઠકો સાથે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે સ્થાપિત થયો હતો. અવિભાજિત શિવસેનાને 56, અવિભાજિત એનસીપીને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. એકંદરે એનડીએને 161 અને યુપીએને 98 બેઠકો મળી હતી. 29 બેઠકો પર અન્ય પક્ષો અથવા અપક્ષો વિજયી થયા હતા. એનડીએ સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં મુખ્યમંત્રી પદના વિવાદમાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે છેડો ફાડતાં મહારાષ્ટ્રમાં અભૂતપૂર્વ રાજકીય કટોકટી સર્જાઈ હતી. તે પછીના ઘટનાક્રમને કારણે પ્રથમ વખત શિવસેના, કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન બન્યું હતું. મહારાષ્ટ્રના રાજકારણનો આ સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ હતો. હવે આ વખતે મહારાષ્ટ્રના મતદારો આ નવા રાજકીય સમીકરણોને સ્વીકારે છે કે ફગાવી દેશે તે જોવાનું રસપ્રદ બની રહેશે.
કયા વિસ્તારમાં કોનું વર્ચસ્વ ?
- પશ્ચિમ મહારાષ્ટ્ર – 70 બેઠકો
( પુણે સોલાપુર થી કોલ્હાપુર સુધીના પાંચ જિલ્લા)
આ વિસ્તારને શરદ પવારનો ગઢ માનવામાં આવે છે. ગત ચૂંટણીમાં તેમના નેતૃત્વ હેઠળની અવિભાજિત એનસીપીને 27 અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી.ભાજપનો 20 અને શિવસેનાનો પાંચ બેઠક પર વિજય થયો હતો. આ વખતે અહીંયા 20 બેઠકો પર એનસીપી (અજિત પવાર )અને એનસીબી (શરદ પાવર) એટલે કે કાકા ભત્રીજા વચ્ચે વચ્ચે સીધી ટક્કર છે. ભાજપ અને એનસીપી (શરદ પવાર)ના ઉમેદવારો 15 બેઠકો પર સામસામે લડી રહ્યા છે.
- વિદર્ભ – 62 બેઠકો
( નાગપુર થી આકોલા સુધીના 11 જિલ્લા)
અહીંયા 35 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ છે. 2019 માં 29 બેઠકો પર ભગવો લહેરાયો હતો. જો કે લોકસભાની ચૂંટણીમાં વિદર્ભના 62 વિધાનસભા ક્ષેત્રોમાંથી 30 ઉપર કોંગ્રેસને અને 15 ઉપર ભાજપને સરસાઈ મળી હતી. લોકસભાની ચૂંટણીના એ પરિણામો ભાજપ માટે ચિંતાનું કારણ બની રહ્યા છે.
- મરાઠાવાડા – 46 બેઠકો
(છત્રપતિ સંભાજીનગર થી લાતુર સુધીના આઠ જિલ્લા)
અહીં 11 બેઠકો પર સેના સામે સેના છે. ત્રણ બેઠકો પર ભાજપ વિરુદ્ધ શિવસેના (ઠાકરે)ના ઉમેદવારો છે.
આ તમામ બેઠકો પર હિન્દુ મતો નિર્ણાયક સાબિત થશે. મરાઠાવાડામાં 10 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ ખેલાશે તો સાત બેઠક ઉપર
બંને એનસીપી સામ સામે મેદાનમાં છે. ગત ચૂંટણીમાં અહીં ભગવું વર્ચસ્વ સ્થપાયું હતું. ભાજપનો 16 અને
અવિભાજિત શિવસેનાનો 12 બેઠક પર વિજય થયો હતો. કોંગ્રેસ અને એનસીપીને આઠ આઠ બેઠક મળી હતી. આ ક્ષેત્રમાં અનામત મુદ્દે મરાઠા સમુદાયની ભાજપ સામેની નારાજગી મોટું નિર્ણાયક પરિબળ સાબિત થશે.
- થાણે કોંકણ- 39 બેઠકો
( થાણે થી ગોવાને અડીને આવેલા સિંધુ દુર્ગ સુધીનો વિસ્તાર)
આ વિસ્તારને મુખ્યમંત્રી એકનાથ શિંદેનો ગઢ માનવામાં આવે છે. 2019 ની ચૂંટણીમાં અવિભાજીત શિવસેનાના 15 અને ભાજપના 11 બેઠકો સાથે તત્કાલીન એનડીએ નો 26 બેઠકો પર વિજય થયો હતો. કોંગ્રેસનું ગાડું માત્ર પાંચ બેઠક પર અટકી ગયું હતું અને એનસીપીને માત્ર બે બેઠક મળી હતી. લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મહાયુતીનો રકાસ થયો ત્યારે પણ આ વિસ્તાર હેઠળની 39 વિધાનસભા બેઠકોમાંથી 23 બેઠકો પર મહાયુતીની સરસાઈ હતી. લોકસભાની ચૂંટણીમાં મહાયુતીને સાત અને મહા વિકાસ અગાડીને પાંચ બેઠકો મળી હતી.
- મુંબઈ- 36 બેઠકો
મુંબઈ અને પરાની કુલ 36 માંથી 30 બેઠકો પર ગત ચૂંટણીમાં એનડીએનો વાવટો ફરક્યો હતો. 16 બેઠકો પર ભાજપ અને 14 બેઠકો પર અવિભાજિત શિવસેનાના ઉમેદવારો વિજય થયા હતા. 36 માંથી કોંગ્રેસને માત્ર એક અને એનસીપીને બે જ બેઠક મળી હતી. પણ લોકસભાની ચૂંટણીમાં 36 પૈકીની 20 બેઠકો પર મહા વિકાસ અઘાડીને સરસાઈ મળી હતી.આ વખતે મુંબઈની 25 બેઠકો પર રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ઉમેદવારો મેદાનમાં છે. તેના બાર ઉમેદવારો ભાજપ સાથે અને 10 ઉમેદવારો શિવસેના સંદેશ સાથે સિદ્ધિ ટક્કર લઈ રહ્યા છે. આવા સંજોગોમાં થનારું હિન્દુ મતોનું સંભવિત વિભાજન
કોની બાજી બગાડે છે તે ઉપર સૌની મીટ મંડાઈ છે.
- નોર્થ મહારાષ્ટ્ર – 35
( નંદુરબાર થી અહલ્યા નગરના પાંચ જિલ્લા)
પરંપરાગત રીતે ભાજપ અને શિવસેનાનો ગઢ છે.
2019 માં 13 બેઠકો પર ભાજપ અને 6 બેઠકો પર શિવસેનાના ઉમેદવારો વિજય થયા હતા. એનસીપીને સાત અને કોંગ્રેસને પાંચ બેઠકો મળી હતી. આ વિસ્તારમાં ઓબીસી મતદારો પરિણામ નક્કી કરે છે. આ વખતે એ મતદારો ભાજપથી નારાજ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસનો પ્રભાવ જોવા મળે છે. આ સંજોગોમાં ભાજપ અને શિવસેના સિંઘે ગત ચૂંટણીના પરિણામોનું પુનરાવર્તન કરી શકશે કે કેમ તે જોવાનું રસપ્રદ બની રહેશે.