મોદી સરકાર 22 રાજ્યોમાં વીજળી મફત આપે તો હું ભાજપનો પ્રચાર કરીશ
દિલ્હીની જનસભામાં અરવિંદ કેજરીવાલની ઓફર : ડબલ એન્જિન ફેલ થયાનો દાવો: ચારેકોર ભ્રષ્ટાચાર અને અપરાધખોરી
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં જનસભાને સંબોધિત કરતાં ભાજપને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો હતો. ભાજપ પર પ્રહારો કરતાં કેજરીવાલે ચેલેન્જ કરી હતી કે, જો મોદી સરકાર 22 રાજ્યોમાં વીજળી મફત કરે તો હું પોતે ભાજપનો પ્રચાર કરીશ.
કેજરીવાલે કહ્યું હતું કે, ‘એક્ઝિટ પોલમાં હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં ભાજપની ડબલ એન્જિન સરકારો બની રહી છે. પરંતુ ડબલ એન્જિન ફેલ થયું છે. 240 બેઠકો આવી તેમાં જૂનમાં જ એક એન્જિન તૂટી ગયું હતું.’
ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ‘આખા દેશમાં તેઓ સત્તા ગુમાવી રહ્યા છે. લોકો સમજી ગયા છે કે ડબલ એન્જિન સરકાર એટલે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી. થોડા દિવસ બાદ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી છે. હરિયાણામાં પણ ડબલ એન્જિન સરકાર બનાવી હતી, પરંતુ ત્યાંથી લોકો તેમનો સાથ છોડી રહ્યા છે.
ઉત્તર પ્રદેશમાં સાત વર્ષથી ડબલ એન્જિનની સરકાર હતી. લોકસભામાં અડધી સીટ થઈ ગઈ. મણિપુરમાં સાત વર્ષથી સરકાર હતી, મણિપુર ભડકે બળી રહ્યું છે. શું તેઓ આખો દેશ મણિપુર બનાવવા માગે છે? એટલે જ હવે તેઓ તમારા બારણે આવે તો ઈનકાર કરી દેજો.’
કેજરીવાલે કહ્યું કે ‘તેઓ દિલ્હીની ચૂંટણીમાં પણ તમારી પાસે આવશે અને કહેશે કે અરવિંદ કેજરીવાલ જે કામ કરશે તે અમે પણ કરીશું. હું કહેવા માંગુ છું કે ભાજપ 22 રાજ્યોમાં સત્તા પર છે, શું તેણે ક્યાંય વીજળી અને પાણી ફ્રી કરી છે? ગુજરાતમાં 30 વર્ષથી સરકાર છે અને ત્યાં એક પણ સારી શાળા નથી. જો ભાજપ આ 22 રાજ્યોમાં વીજળી ફ્રી કરશે તો હું દિલ્હીની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરીશ.’