પત્ની અને સાસરિયાના અસહ્ય ત્રાસથી નોઇડામાં ફિલ્ડ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા મોહિત કુમાર નામના યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.એ અંતિમ પગલું ભરતાં પહેલા જારી કરેલા વીડિયોમાં તેણે કહ્યું હતું કે જો પુરુષોના રક્ષણ માટે પણ કોઈ કાયદો હોત તો મારે આપઘાત કરવાની નોબત ન આવી હોત.
મોહિત કુમારના લગ્ન પ્રિયા યાદવ સાથે થયા હતા.મોહિતના જણાવ્યા મુજબ તેની પત્નીને શિક્ષિકા તરીકે નોકરી મળ્યા બાદ તેણે અને તેની માતાએ ત્રાસ શરૂ કર્યો હતો.માતાએ પુત્રીના બધા ઘરેણા પોતાના કબજામાં લઈ લીધા હતા. મોહિતને તેની તમામ મિલકત પત્નીના નામે કરી દેવા દબાણ કર્યું હતું.અને નહિતર દહેજ કાનૂન હેઠળ મોહિત અને તેના પરિવારજનો ઉપર કેસ કરવાની ધમકી આપી હતી. અંતે દરરોજના એ માનસિક અત્યાચાર અને ધમકીઓથી થાકી ગયેલા મોહિતે જિંદગી ટૂંકાવી નાખી હતી.એ વીડિયોમાં તેણે પોતાની આપવીતીનું વર્ણન કરી અને અંતમાં, જો મર્યા પછી પણ ન્યાય ન મળે તો તેની રાખનું ગટરમાં વિસર્જન કરવાનો અનુરોધ કર્યો હતો.