દીલ્હીની પત્રકાર સૌમ્યાના હત્યારાઓને કેટલી મળી સજા ? વાંચો
દીલ્હીની ટીવી પત્રકાર સૌમ્યા વિશ્વનાથન મર્ડર કેસમાં 15 વર્ષો બાદ સજાનું એલાન થઈ ગયુ હતું. હત્યાના ચાર આરોપીઓને આજીવન કેદની સજા મળી છે. રવિ કપૂર, અમિત શુક્લા, બલજીત સિંહ મલિક અને અજય કુમારને આ મર્ડર કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. 2008 માં સૌમ્યાની હત્યા કરાઇ હતી.
દીલ્હીની વિશેષ કોર્ટે ચારેય આરોપીઓને દંડ પણ ફટકાર્યો હતો. તમામ દોષીતોને મકોકા હેઠળ સજા સંભળાવવામાં આવી છે. દિલ્હીની સાકેત કોર્ટે શુક્રવારે આ મામલે સુનાવણી પૂરી કરીને નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. ચારેય આરોપીઓને બે મામલે અલગ-અલગ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.
દિલ્હીની મહિલા ટીવી પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યા 30 સપ્ટેમ્બર 2008ના રોજ દિલ્હીના નેલ્સન મંડેલા માર્ગ પર થઈ હતી. ત્યારે સૌમ્યા નાઈટ શિફ્ટ કરીને ઓફિસેથી ઘરે પરત ફરી રહી હતી. પોલીસને સૌમ્યાનો મૃતદેહ તેની કારમાંથી મળ્યો હતો.
આ હત્યા કેસની સૌથી ખાસ વાત એ છે કે, તેનો ખુલાસો કરવામાં પોલીસને લગભગ 6 મહિનાનો સમય લાગ્યો હતો. પોલીસે કોઈ બીજા હત્યાકાંડમાં આરોપીઓની ધરપકડ કરી હતી જેમણે સૌમ્યાની હત્યાની વાત પણ કબૂલી લીધી હતી.