ભારત ઊપર કરજ કેટલું ? શું છે આંકડો ?
- કોણે ચેતવણી આપી ?
- સરકારે શું કહ્યું ?
દેશનું અર્થતંત્ર સાચી દિશામાં છે અને તેના વૃધ્ધિ દરમાં વધારો થવાનો છે તેવા રેટિંગ એજન્સીઓના અહેવાલ બાદ એક ચિંતા કરાવતો અહેવાલ પણ આવ્યો છે જે મુજબ ભારત પર દેવું વધતું જઈ રહ્યું છે. એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે દેશ પર ચાલુ નાણાકીય વર્ષ જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કુલ દેવું વધીને 2.47 ટ્રિલિયન ડૉલર એટલે કે 205 લાખ કરોડને આંબી ગયું છે. આઈ એમ એફ દ્વારા ભારતને એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે ભારતે એમ કહ્યું છે કે સરકારી દેવાથી જોખમ ઓછું છે કેમ કે મોટા ભાગનું દેણું ભારતીય ચલણમાં છે.
ડૉલરની કિંમતમાં આવેલો ઉછાળો પણ આ દેવું વધવાનાં કારણોમાં સામેલ છે. અગાઉ ગત નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં કુલ દેવું 2.34 ટ્રિલિયન ડૉલર એટલે કે 200 લાખ કરોડ રૂ. હતું. ઈન્ડિયાબોન્ડ્સ ડૉટ કોમના સહ-સંસ્થાપક વિશાલ ગોયનકાએ આરબીઆઈના આંકડાનો હવાલો આપતાં કેન્દ્ર અને રાજ્યો પર દેવાના આંકડા રજૂ કર્યા હતા.
આ પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડએ પણ વધતા જતાં દેવાને અંગે ભારતને ચેતવણી આપી હતી. વૈશ્વિક સંસ્થાએ કહ્યું છે કે કેન્દ્ર અને રાજ્યો સહિત ભારતનું સામાન્ય સરકારી દેવું મધ્યમ ગાળામાં કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) ના 100 ટકાથી ઉપર પહોંચી શકે છે.
આવી સ્થિતિમાં લાંબા ગાળામાં લોન ચૂકવવામાં મુશ્કેલી આવી શકે છે. જો કે, કેન્દ્ર સરકારે આઈએમએફના અહેવાલ સાથે અસહમતિ વ્યક્ત કરી હતી અને તેનું માનવું છે કે સરકારી દેવાથી જોખમ ઘણું ઓછું છે, કારણ કે મોટા ભાગનું દેવું ભારતીય ચલણ એટલે કે રૂપિયામાં છે.