બંગાળમાં આંધી તોફાન, વર્ષાથી કેટલાના મોત ? જુઓ
પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ અને આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓથી ભારે તબાહી મચી ગઈ હતી અને તેમાં 12 લોકોના મોત થયા હતા. હવામાન ખાતાએ ભારે ચિંતાજનક આગાહી કરીને કહ્યું હતું કે આગામી દિવસોમાં પણ બંગાળમાં અનેક જગ્યાએ આંધી તોફાન આવશે અને વર્ષા થઈ શકે છે. મંગળવારે બંગાળમાં ત્રીજા તબક્કામાં 4 બેઠક પર મતદાન થયું હતું. જો કે મતદાનની પ્રક્રિયા યથાવત રહી હતી.
રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે તોફાનને પગલે વીજળી પણ પડી હતી જેમાં અલગ અલગ જગ્યા પર 12 લોકોના મોત થઈ ગયા હતા. અનેક કાચા મકાનોને નુકસાની થઈ હતી.
કેટલાક ગામોમાં ભારે તોફાની હવા અને વીજળી પડવાથી ઘરની દીવાલો પણ પડી ગઈ હતી જેમાં કેટલાક લોકોના મોત થયા હતા. મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ ઘટના અંગે ભારે દુખ દર્શાવ્યું હતું અને પીડિતોને સહાયતાની ખાતરી આપી હતી.