ભારતની સૈન્ય તકાતમાં કેવો થયો વધારો ? જુઓ
ભારતે આજે જમીનથી જમીન પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઈલ પ્રલયનું સફળ પરીક્ષણ કરી લીધુ છે. રક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, આ પરીક્ષણ ઓડિશા તટ પર અબ્દુલ કલામ દ્વીપ પરથી કરવામાં આવ્યુ છે. આ પ્રલય મિસાઈલ ડીઆરડીઓ દ્વારા વિકસિત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ પરીક્ષણ સવારે કરવામાં આવ્યુ અને તેણે તેના તમામ ઉદ્દેશ્યો પૂરા કરી લીધા છે.
500 કિલો મીટરની છે મારક ક્ષમતા
ટ્રેકિંગ ઉપકરણોથી મિસાઈલની ટ્રેજેક્ટરીનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. પ્રલય મિસાઈલની રેન્જ 350-500 કિલોમીટર છે અને તે 500-1000 કિલોગ્રામ પેલોડ લઈ જવામાં સક્ષમ છે. પ્રલય મિસાઈલને એલએસી અને એલઓસી પર તૈનાત કરવા માટે વિકસાવવામાં આવી છે. રક્ષા અધિકારીઓનું કહેવું છે કે, ચીનની ડોંગ ફેંગ 12 અને રશિયાની ઈસ્કેન્ડર મિસાઈલોની તુલના ભારતની પ્રલય મિસાઈલ સાથે થઈ શકે છે. યુક્રેન યુદ્ધમાં રશિયાએ ઈસ્કેન્ડર મિસાઈલનો મોટાપાયે ઉપયોગ કર્યો છે. પાકિસ્તાન પાસે પણ આ રેન્જની બેલેસ્ટિક મિસાઈલો છે.