રાજકોટમાં ગંભીર ઘટનાઓ વચ્ચે CP સહિત અર્ધો ડઝન પોલીસ અધિકારીઓ રજા પર : બધા હોદ્દા ચાર્જમાં
રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી કાયદો-વ્યવસ્થામાં સંગીન સ્થિતિ છે. સિટી બસ અકસ્માતમાં ચાર-ચાર વ્યક્તિએ જીવ ગુમાવ્યા, લાખો રૂપિયાની ચોરીઓ થશય, આવી ગંભીર ઘટનાઓ વચ્ચે પોલીસ કમિશનરથી લઈ ACP , PI સુધીના અર્ધો ડઝનથી વધુ અધિકારીઓ ચાર્જ પર છોડીને ત્રણ દિવસ કે તેથી વધુના (મિનિ વેકેશન) રજા પર ચાલ્યા ગયા છે.
સિટી બસે ચારના ભોગ લીધાઃ બે સ્થળે 60 લાખ, 70 લાખની ચોરીઓ થઈ, હજુ સુધી ભેદ અકબંધ
બે દિવસ પૂર્વે બુધવારના રોજ ઈન્દિરા સર્કલે સિટી બસે રાક્ષસી પૈડાં નીચે, ઠોકરે ચાર-ચાર પરિવારના સ્વજનને કચડી નાખ્યા, બનાવના પગલે ભારે રોષ અને થોડો વખત તો ભારેલા અગ્નિ જેવી સ્થિતિ બની હતી. CP. સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. બીજા દિવસે ગઈકાલે સવારે ત્રિકોણ બાગ નજીકના ઘડિયાળના શો-રૂમમાંથી 70 લાખની ચોરી થઈ. આ પૂર્વે ગયા અઠવાડિયે કારખાનામાં 60 લાખના હીરા ચોરાયા હતા. બન્નેમાં તસ્કરો સીસીટીવીમાં દેખાય છે પરંતુ પોલીસને હજુ મળ્યા નથી કે હાથ લાગ્યા નથી. ટીમો અલગ-અલગ દિશામાં દોડી રહી છે.
ત્રણેય ઘટનાઓમાં માત્ર હજુ ફરિયાદો જ નોંધાઈ છે એથી આગળ બસ અકસ્માતમાં હજુ સુધી પોલીસને હાથવગો આરોપી બસ ચાલક સારવારમાં છે તેના સિવાય અન્ય જવાબદારો કોણ ? તે હજુ સુધી પોલીસ સ્પષ્ટ કરી શકી નથી. ચાલક પાસે લાઈસન્સ છે તે એકસ્પાયર થઈ ગયેલું હોવા છતાં બે મહિનાથી કોઈને ધ્યાને ન પડયું અને બસ ચલાવ્યે રાખી.
એસીપી સહિતના અર્ધો ડઝન અધિકારીઓ પણ મિનિ વેકેશન (રજા)માં: બધા હોદ્દા ચાર્જમાં
હજુ સુધી પોલીસે કોઈની ધરપકડ કરી નથી. 24 કલાકમાં ચાર મોત, 70 લાખની ચોરીની ગંભીર ઘયના બની. આજે શુક્રવારથી ત્રણ દિવસ માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા રજા ઉપર છે. ચાર્જ CP ક્રાઈમ બી.બી. બસીયા કોર્ટના કામે ત્રણ દિવસ રજા પર છે. સાઈબર ક્રાઈમ ACP સી.એમ. પટેલ પણ રજા પર છે. અન્ય અધિકારીઓમાં ત્રણથી ચાર PI પણ રજા પર ગયા છે. તેમના ચાર્જ પણ અન્યોને સોંપાયા છે. પોલીસ અધિકારીઓ પોતાના કોઈ અંગત કામ માટે રજા પર ગયા હશે. અકસ્માત, ચોરીઓ પૂર્વે રજાનું પ્લાનિંગ હશે એવું સમજી કે માની શકાય.