ગુજરાત બજેટ : નમો સરસ્વતી યોજના શું છે, જુઓ
શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરતાં નાણામંત્રીએ કહ્યું કે 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઇ.ટી. અને સંલગ્ન ટેક્નોલોજીનો મહત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહ (STEM)નું શિક્ષણ જરૂરી છે.
વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને, ધોરણ-11માં 10 હજાર રુપિયા અને ધોરણ-12 માં 15 હજાર રુપિયા મળી કુલ 25 હજાર રુપિયાની સહાય આપવામાં આવશે.
આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી ૫ લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે 400 કરોડ રુપિયાનો ખર્ચ થશે.
