દેશમાં પ્રથમવાર થશે ડિજિટલ વસતિ ગણતરી : ગૃહ મંત્રાલયે જાહેરનામું બહાર પાડ્યું, મોબાઈલ એપ્લિકેશનનો થશે ઉપયોગ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે 2027 માં દેશની 16મી વસતિ ગણતરી માટે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. વસતિ ગણતરીની સાથે, જાતિ ગણતરી માટે પણ એક સૂચના બહાર પાડવામાં આવી છે. આ વખતે ગણતરીનું કાર્ય 2 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. આ વસતિ ગણતરી ભારતની 16મી ગણતરી છે અને સ્વતંત્રતા પછીની 8મી વસતિ ગણતરી છે.

અગાઉ, ગૃહમંત્રી અમિત શાહે રવિવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે 16મી વસતિ ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. લદ્દાખ જેવા બરફીલા અને પર્વતીય વિસ્તારોમાં 16મી વસતિ ગણતરીની સંદર્ભ તારીખ 1 ઓક્ટોબર, 2026 હશે, જ્યારે દેશના બાકીના ભાગોમાં તે 1 માર્ચ, 2027 હશે. નવી વસતિ ગણતરી કરવા અંગેની સૂચના સોમવારે સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : ઇમરજન્સી સમયે જ મુસાફરોના ઇમરજન્સી કોન્ટેક્ટ નહોતા, પોતાનો જ નંબર કર્યો’તો એડ
નોંધનીય બાબત એ છે કે દેશમાં પ્રથમવાર ડિજિટલ વસતિ ગણતરી થવા જઈ રહી છે. આ માટે સરકાર દ્વારા વ્યવસ્થા તંત્ર ઊભું કરવામાં આવશે. લાખો લોકોને તાલીમ અપાશે.

34 લાખ સુપરવાઇઝર તૈનાત થશે
વસતિ ગણતરી માટે 34 લાખ સુપરવાઇઝર તૈનાત કરવામાં આવશે. આ વખતે ગણતરીની સાથે, જાતિ ગણતરી પણ કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 16મી વસતિ ગણતરી માટે લગભગ 34 લાખ ગણતરીકારો અને સુપરવાઇઝર તેમજ ૧.૩ લાખ ગણતરીના કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.

મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ થશે
સરકાર દ્વારા અપાયેલ નિવેદન મુજબ, વસતિ ગણતરી માટે મોબાઇલ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવશે. લોકોને સ્વ-ગણતરીની જોગવાઈ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વસતિ ગણતરી સંબંધિત ડેટાને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ કડક ડેટા સુરક્ષા પગલાં લેવામાં આવશે. દેશમાં છેલ્લી વસતિ ગણતરી વર્ષ 2011માં હાથ ધરવામાં આવી હતી, પરંતુ ૨૦૨૧ માં, કોરોના રોગચાળાને કારણે, ગણતરીનું કાર્ય સમયસર શરૂ થઈ શક્યું નહીં.