યુધ્ધને પગલે એર ઈન્ડિયાએ તેલ અવિવ તરફ આવતી -જતી ફ્લાઇટો 14 મી સુધી કેન્સલ કરી
હાલ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં 500 થી વધુના મોત અને સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. હમાસના આતંકવાદીઓ ઈઝરાયેલમાં ઘુસી રસ્તા પર અંધાધૂધ ગોળીબાર કરી રહ્યા હતા , ત્યારે એર ઈન્ડિયા એ તેલ અવીવ ની ફ્લાઈટો 14 ઓક્ટોબર સુધી કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, ઈઝરાયલની રાજધાની તેલ અવીવ સુધી જતી અને ત્યાંથી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સને 14 ઓક્ટોબર સુધી સસ્પેન્ડ કરી દેવાઈ છે. પ્રવક્તાએ જણાવ્યું કે, મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા અમારું કર્તવ્ય છે. આ તારીખોમાં જે પણ લોકોએ કન્ફર્મ બુકિંગ કરાવ્યું હતું, તે તમામ લોકોની તમામ સંભવ મદદ કરવામાં આવશે.
પેલેસ્ટાઈનમાં આશરે લઈ રહેલા આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ ઉપર શનિવારે વહેલી સવારથી 5000 રોકેટનો મારો ચલાવી ભારે વિનાશ વેર્યો હતો . હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલમાં પેરાગ્લાઈડર, સમુદ્ર, જમીન માર્ગે ઘૂસ્યા હતા અને રસ્તામાં આવતા-જતા તમામ લોકો પર અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું.