મહાકુંભમાં ભાગદોડને કારણે 15થી વધુ લોકોના મોતની આશંકા : PM મોદીએ રાહત અને બચાવ અંગે CM યોગી સાથે 3 વાર કરી વાતચીત
મહાકુંભમાં ભાગદોડને કારણે 15થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે. પ્રયાગરાજમાં ભારે ભીડ વચ્ચે થયેલી ભાગદોડમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત બીજા અમૃત સ્નાન ઉત્સવ, મૌની અમાવસ્યા પહેલા થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે ભાગદોડની ઘટના અને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે. છેલ્લા બે કલાકમાં, પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ત્રણ વાર વાત કરી છે. ખાસ સાવધાની રાખવામાં આવી રહી છે. અગાઉ, અખાડા પરિષદે અમૃત સ્નાન રદ કરવાની જાહેરાત કરી હતી. જોકે, હવે અખાડા પરિષદે કહ્યું છે કે ભીડ ઓછી થયા બાદ અખાડા સ્નાન માટે જશે.

સંગમ વિસ્તારમાંથી લોકોને દૂર કરવા માટે બેરિકેડિંગ દૂર કરવામાં આવ્યું છે. જોકે, સંગમ કિનારે હજુ પણ લોકોની ભીડ છે. ભાગદોડ પછી પણ લોકો કોઈક રીતે સંગમ કિનારા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાધુઓ અને સંતો લોકોને સંગમ કિનારા પર ન જવાની અપીલ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ૧૩ જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં લગભગ ૨૦ કરોડ લોકોએ ગંગામાં ડૂબકી લગાવી છે. આજે એટલે કે બુધવારે મૌની અમાસ પર ૧૦ કરોડથી વધુ ભક્તો પહોંચવાની અપેક્ષા છે.
ભીડનું વધારે દબાણ હોવાથી ઘટના બની હોવાનું તારણ…
મહાકુંભ મેળાના OSD આકાંક્ષા રાણાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે સંગમ પર ભીડનું દબાણ વધવાથી આ ઘટના બની હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. જો કે, ઘાયલોની સંખ્યા વધુ હોવાથી મૃતકાંક હજુ વધી શકે છે, જેના કારણે તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જાણકારી અનુસાર આ નાસભાગ એક અફવાને કારણે મચી હતી.
મહાકુંભમાં વહેલી સવારે બનેલી ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી અને ઘટના પર અપડેટ મેળવી હતી. આ ઘટના પર પીએમ મોદી નજર રાખી રહ્યા છે. તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરીને રાહત કાર્ય અંગે વિગતો પણ મેળવી હતી. સાથે જ લોકોને તાત્કાલિક અસરથી મદદ કરવા સૂચન પણ કર્યા હતા.
મહાકુંભમાં અમૃત સ્નાનની શરૂઆત થતાં જ ભાગદોડ મચી ગઈ હતી. જોકે સવાર સુધીમાં સ્થિતિના કંટ્રોલ કરી લેવામાં આવી હતી અને અમૃત સ્નાન રદ કરવાની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી હજુ પણ સંગમ ઘાટ પર રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.