એવરેસ્ટ અને MDH મસાલાથી કેન્સર થવાની શક્યતા ?
સિંગાપોર પછી હવે હોંગકોંગે વેંચાણ ઉપર પ્રતિબંધ મૂક્યો
મસાલામાં ઇથેલીન ઓક્સાઈડ હોય છે જે શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
પહેલા સિંગાપુર અને હવે હોંગકોંગે ભારતના પ્રખ્યાત એવરેસ્ટ અને MDHના મસાલા પર પ્રતિબંધ મુકી દીધો છે. આ મસાલામાં ઇથેલીન ઓક્સાઈડ હોય છે જે શરીર માટે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે તેવું કારણ આપીને આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ બંને દેશો ફૂડ સેફ્ટી માટે બહુ આકરા નિયમો ધરાવે છે અને ત્યાં લોકોના આરોગ્યની બાબતમાં કોઈ લાપરવાહી ચાલતી નથી.
એવરેસ્ટ અને MDH બ્રાન્ડ પાઉંભાજી મસાલા, સાંભાર મસાલા, મદ્રાસ કરી મસાલા, કરી પાઉડરનું મોટા પ્રમાણમાં વેચાણ કરે છે. પરંતુ તેની ક્વોલિટી અંગે હવે સવાલો ઉઠ્યા છે. આ બંને બ્રાન્ડના મસાલામાં કાર્સિનોજેનિક પેસ્ટિસાઈડ્સ ઈથાઈલિન ઓક્સાઈડની હાજરી છે. કાર્સિનોજેનિક પેસ્ટિસાઈડ્સ એટલે પ્રોસ્ટેટ, બ્રેસ્ટ અને બ્લેડરના કેન્સર માટે જવાબદાર ઝેરી દવાઓ. આમ તો મસાલામાં અમુક હદ સુધી ઈથાઈલિન ઓક્સાઈડની છુટ આપવામાં આવે છે. પરંતુ ભારતની બે મસાલા બ્રાન્ડમાં તેનું પ્રમાણ લિમિટ કરતા વધુ છે. આ કારણોસર પહેલા હોંગકોંગ અને સિંગાપોરે તેના પર પ્રતિબંધ મુક્યો છે.
હોંગકોંગ સરકારના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે કહ્યું કે 5 એપ્રિલે મસાલા પર રૂટિન સર્વેલન્સ કરવામાં આવ્યું ત્યારે જોવા મળ્યું કે એમડીએચના મદ્રાસ કરી પાઉડર, સાંભાર મસાલા પાઉડર અને કરી પાઉડરમાં ઈથાઈલિન ઓક્સાઈડનું પ્રમાણ લિમિટ કરતા વધારે છે. ત્રણ રિટેલ આઉટલેટ પરથી આ મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ફૂડ સર્વેલન્સ પ્રોગ્રામમાં તેનું ટેસ્ટિંગ કરાયું હતું. આ ટેસ્ટમાં જોવા મળ્યું કે મસાલામાં ઈથાઈલિન ઓક્સાઈડ નામના જંતુનાશકની જોખમી સ્તરની હાજરી છે. તેથી આ પ્રોડક્ટનું વેચાણ તાત્કાલિક અટકાવવા અને દુકાનમાંથી તમામ માલ હટાવી લેવાની સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત એવરેસ્ટ ગ્રૂપના ફિશ કરી પાઉડરમાં પણ જોખમી જંતુનાશક દવાનું ઊંચું પ્રમાણ જોવા મળ્યું છે. આ જંતુનાશક ગ્રૂપ વનમાં આવે છે અને તેનાથી કેન્સર થઈ શકે છે. ખાસ કરીને પ્રોસ્ટેટ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર માટે આ ઝેરી રસાયણ જવાબદાર ગણાય છે. એમડીએચની જેમ એવરેસ્ટની પ્રોડક્ટ શોપમાંથી હટાવી લેવાનો આદેશ અપાયો છે.
સિંગાપોર અને હોંગકોંગમાં મૂકાયેલા પ્રતિબંધ વિશે એવરેસ્ટે કહ્યું કે અમારી તમામ પ્રોડક્ટ આકરી ચકાસણી બાદ તૈયાર થાય છે. નિકાસ કરતાં પહેલાં તમામ સાવચેતી રાખવામાં આવે છે.
ભારતીય બ્રાન્ડની ગુણવત્તા અંગે અગાઉ પણ સવાલ ઉઠાવાયા છે. 2023માં અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, એટલે કે યુએસએફડીએ દ્વારા એવરેસ્ટની ફૂડ પ્રોડક્ટને રિકોલ કરવાનો આદેશ અપાયો હતો. તે વખતે પણ તેમાં જોખમી રસાયણો જોવા મળ્યા હતા.