અરવિંદ કેજરીવાલના ઘરે EDની ટીમ પહોંચી, પોલીસ કાફલો ખડકાયો…
દિલ્હી હાઈકોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ધરપકડથી રક્ષણ આપવાનો ઈન્કાર કરી દીધાના થોડા કલાકો બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ આજે (ગુરુવાર) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ના નિવાસસ્થાને પહોંચી ગઈ છે. કોર્ટે આજે બપોરે જ સુનાવણી હાથ ધરી કેજરીવાલને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. હાલ મળતા અહેવાલો મુજબ કેજરીવાલના ઘરની તપાસ કરવામાં આવી રહી છે અને ટીમ કેજરીવાલની પૂછપરછ કરી રહી છે.
કેજરીવાલના નિવાસસ્થાન બહાર પોલીસ કાફલો ખડકાયો
હાલ કેજરીવાલ નિવાસસ્થાનની બહાર પોલીસનો કાફલો પણ તહેનાત કરાયો છે. આ ઉપરાંત DCP સહિતના છથી સાત અધિકારીઓ પણ ત્યાં હોવાની વિગતો સામે આવી છે. હાલ કેજરીવાલના ઘરે છથી આઠ અધિકારીઓ પહોંચ્યા છે અને તેમને 10મું સમન્સ પાઠવવામાં આવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ આ કેસમાં પૂછપરછ માટે કેજરીવાલને અત્યાર સુધીમાં નવ સમન્સ પાઠવ્યા છે.
AAPના નેતા સૌરભ ભારદ્વાજ પહોંચ્યા
કેજરીવાલના ઘરે ઈડી પહોંચ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ પણ ત્યાં પહોંચી ગયા છે. જોકે તેમને ઘરમાં જવા દેવાયા નથી. આ દરમિયાન ભારદ્વાજે કહ્યું કે, ઈડીની ટીમે કેજરીવાલની ધરપકડની તૈયારી કરી છે.
હાઈકોર્ટે ધરપકડ પર રોક લગાવવા ઈન્કાર કર્યો હતો
ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઈકોર્ટમાં આજે જ લીકર પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટ તરફથી કેજરીવાલને કોઈ રાહત મળી નથી. કોર્ટે તેમની ધરપકડ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. દિલ્હી હાઈકોર્ટે ઈડીને અરવિંદ કેજરીવાલની અરજી પર બે અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે. હવે આ કેસમાં દિલ્હી હાઈકોર્ટ આગામી સુનાવણી 22મી એપ્રિલે કરશે.
કેજરીવાલે સમન્સના જવાબમાં ઈડી સમક્ષ હાજર થવું પડશે : કોર્ટ
આ અગાઉ ઈડીના સમન્સ પર કેજરીવાલ પૂછપરછ માટે હાજર થઈ રહ્યા ન હતા. તેમણે કોર્ટ પાસે ખાતરી માંગી હતી કે જો તેઓ પૂછપરછ માટે જાય તો તેમની ધરપકડ ન કરવામાં આવે. મુખ્યમંત્રી કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે કેજરીવાલ પૂછપરછ માટે ઈડી સમક્ષ હાજર થશે, પરંતુ ઈડીએ કોર્ટમાં એમ કહે કે તેમની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. જો કે આના પર કોર્ટે કહ્યું કે કેજરીવાલે સમન્સના જવાબમાં ઈડી સમક્ષ હાજર થવું પડશે, તેમની ધરપકડ પર કોઈ સ્ટે નથી.
નવ સમન્સ પાઠવવા છતાં કેજરીવાલ હાજર ન થયા
ઈડીએ દિલ્હી એક્સાઈઝ નીતિ કૌભાંડ કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગની પૂછપરછ કરવા કેજરીવાલને સમન્સ પાઠવ્યા છે. ઈડી કેજરીવાલને અત્યાર સુધીમાં નવ વખત સમન્સ મોકલી ચુકી છે, તેમ છતાં તેઓ હજુ સુધી હાજર થયા નથી. ઈડીએ કેજરીવાલને 22 જાન્યુઆરીએ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. ત્યારબાદ ગત વર્ષે બે નવેમ્બર, અને 21 ડિસેમ્બર, પછી આ વર્ષે ત્રણ જાન્યુઆરી, 18 જાન્યુઆરી, બે ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 22 ફેબ્રુઆરી અને 27 ફેબ્રુઆરી અને 17 માર્ચે પણ કેજરીવાલને સમન્સ પાઠવી ચુકી છે. આઠ-આઠ સમન્સ પાઠવવા છતાં કેજરીવાલ ઈડી સમક્ષ હાજર થયા નથી.