નાણાકીય ગેરરીતિનો મામલો, વકફ બોર્ડમાં ભ્રષ્ટાચાર કર્યો હતો
આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ધરપકડ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હવે આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘર પર દરોડા પાડ્યા છે. આજે ઈડીની ટીમ સવારે ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચી હતી.
ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ પણ ધારાસભ્ય અમાનતુલ્લા વિરુદ્ધ દિલ્હી વકફ બોર્ડની કામગીરીમાં નાણાકીય ગેરરીતિ અને અન્ય ગોટાળાને લઈ કેસ નોંધ્યો હતો. ઈડીએ આ કેસમાં અમાનતુલ્લા વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
અમાનતુલ્લા ખાન પર દિલ્હી વકફ બોર્ડના અધ્યક્ષ તરીકે કામ કરતી વખતે નિયમોનું ઉલ્લંઘન કરીને 32 લોકોની ભરતી કરવાનો આરોપ છે. આરોપ એવો હતો કે, દિલ્હી વકફ બોર્ડ તરીકે આપ ધારાસભ્યએ ભ્રષ્ટાચાર અને પક્ષપાત કર્યો હતો. આ સિવાય દિલ્હી વક્ફ બોર્ડની ઘણી મિલકતો ગેરકાયદેસર રીતે ભાડે આપવામાં આવી હતી. તેમના પર દિલ્હી સરકારની અનુદાન સહિત બોર્ડ ફંડનો દુરુપયોગ કરવાનો પણ આરોપ હતો.