રાજકોટમાં જેલબંધ એમ.ડી. સાગઠિયાની 21.61 કરોડની મિલકત પર EDએ લગાવ્યું સજ્જડ તાળું
TRP ગેઈમ ઝોન અગ્નિકાંડને 11 દિવસ બાદ એક વર્ષ પૂર્ણ થઈ જશે. આ અગ્નિકાંડ બાદ શરૂ કરાયેલી તપાસમાં મહાપાલિકાના અનેક ઉચ્ચ અધિકારીઓ જેલમાં ધકેલાઈ ગયા છે જેમાં સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગર ઓફિસર એમ.ડી.સાગઠિયા પણ સામેલ છે. સાગઠિયા સામે પોતાની કામગીરીમાં લાપરવાહી રાખવા સહિતના મુદ્દે બે ગુના નોંધવામાં આવ્યા છે જ્યારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સાગઠિયાની એક-એક કરીને 28 કરોડની બેનામી મિલકતો શોધી કાઢીને વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આટલી જંગી માત્રામાં અપ્રમાણસર મિલકતો મળી આવતાં ACB દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને જાણ કરવામાં આવતાં EDએ તપાસમાં ઝંપલાવીને સાગઠિયા તેમજ તેના પત્ની, પુત્રો અને પુત્રના ભાગીદારના નામે રહેલી 21 કરોડની મિલકત ટાંચમાં લઈ તેને ટ્રાન્સફર સહિતનો કોઈ પણ હુકમ ન કરવા એસીબી કોર્ટમાં અરજી કરી હતી.
આ અંગે સ્પેશ્પલ પીપી તરીકે રોકાયેલા જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ જણાવ્યું કે સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાએ 28 કરોડની મિલકતો વસાવી છે. આ મિલકતો તેમણે પોતાના પત્ની અને પુત્રના નામે વસાવી હતી તેમજ એક સ્થાવર મિલકતમાં સાગઠિયાના પુત્ર કેયુરે અલ્પેશ રણછોડભાઈ ચાવડા નામની વ્યક્તિ સાથે સહમાલિકી રાખી હતી. આ સઘળી મિલકત ACB દ્વારા શોધી કાઢીને ઈડીને જાણ કરવામાં આવતાં ઈડીએ તપાસ હાથ ધરી એવા નિષ્કર્ષ ઉપર પહોંચ્યું હતું કે સાગઠિયાએ પોતાના, પત્ની ભાવનાબેન સાગઠિયા, પુત્ર કેયુર સાગઠિયા અને અલ્કેશ ચાવડા નામના વ્યક્તિઓના નામે સ્થાવર મિલકત, જમીન, કિંમતી ઘરેણા તેમજ અલગ-અલગ બેન્કમાં ફિક્સ ડિપોઝિટની મળી કુલ 21,61,59,129ની બેનામી મિલકત વસાવેલી છે.
આ મિલકતોને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(PMLA) હેઠળ કલંકીત ગણી તેને કલમ-5 હેઠળ ઈડી દ્વારા જપ્ત કરવામાં આવી હતી. દરમિયાન એસીબીએ જે બેનામી મિલકત સોંપી હતી તેનો કોર્ટ કસ્ટડીમાં સોંપી હતી. આ રીતે તમામ મિલકત કોર્ટ કસ્ટડીમાં હોવાથી ઈડીએ અરજી કરી ACB કોર્ટને જણાવ્યું હતું કે પીએમએલ એક્ટની કલમ-8 હેઠળ હાલનો કેસ દિલ્હી ખાતે એડજ્યુડિકેટિંગ ઓથોરિટી સમક્ષ ચાલવાપાત્ર હોય આ મિલકતો પર ટ્રાન્સફર અંગેનો કોઈ હુકમ ન કરવો જોઈએ. હવે આ મુદ્દે આગામી 26 મેએ આગળની સુનાવણી હાથ ધરાશે.