ટાટા સ્ટીલે શું કામ ઓરિસ્સામાં જ સૌથી મોટું રોકાણ કર્યું ??
સ્ટીલ ઉદ્યોગમાં જમશેદપુર ઓરિસ્સા કરતાં એક સમયે આગળ હતું. હવે કલિંગનગર પ્લાન્ટના તાજેતરના વિસ્તરણને કારણે ઓરિસ્સા ભારતમાં ટાટા સ્ટીલનું સૌથી વધુ રોકાણ ધરાવતી જગ્યા બની ગઈ છે. આ બદલાવ કેવી રીતે આવ્યો તે જાણવા માટે તેનો રસપ્રદ ઈતિહાસ પણ એક વખત જાણવો જોઈએ.
એક સદી જૂની ફરિયાદ !!
ટાટા સ્ટીલની સફર 1907 માં શરૂ થઈ જ્યારે જમશેદજી ટાટાએ જમશેદપુરમાં ભારતનો પ્રથમ સ્ટીલ પ્લાન્ટ સ્થાપ્યો. જમશેદપુર તે સમયે બિહાર (હાલ ઝારખંડ) નો ભાગ હતો. છતાં પણ મોટાભાગનો કાચો માલ એમાં પણ ખાસ કરીને આયર્ન ઓર ઓરિસ્સાના મયુરભંજ જિલ્લામાંથી આવતો. સમય જતાં, ઉડિયા લોકોએ એવી લાગણી વિકસાવી કે તેમના સંસાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવા છતાં, તેઓને ઉદ્યોગમાંથી સીધો ફાયદો થતો નથી, કારણ કે પ્લાન્ટ તેમના રાજ્યની બહાર સ્થપાયો હતો.
ઓરિસ્સામાં બદમપહાડ, ગોરુમહિસાની અને સુલેપટની સમૃદ્ધ ખાણોમાંથી કાઢવામાં આવતા લોહધાતુએ જમશેદપુર પ્લાન્ટને દાયકાઓ સુધી ઊર્જા પૂરી પાડી હતી. આ સતત નિષ્કર્ષણને કારણે આમાંથી કેટલાક ખનિજ સમૃદ્ધ વિસ્તારો હવે ખાલી થઈ ગયા છે. ઓરિસ્સાની પ્રજા વર્ષો સુધી અવગણનાની લાગણી અનુભવતા રહ્યા.

બીજુ પટનાયકનો પ્રભાવ
ઓરિસ્સાના જાણીતા રાજકીય નેતા બિજુ પટનાયકે રાજ્યના ઔદ્યોગિક લેન્ડસ્કેપને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 1991 માં, ઓરિસ્સાના મુખ્ય પ્રધાન તરીકેના તેમના બીજા કાર્યકાળ દરમિયાન, તેઓ OMC એલોયના ચાર્જ-ક્રોમ પ્લાન્ટ ટાટા સ્ટીલને વેચવામાં સફળ થયા. આનાથી ઓરિસ્સાના સ્ટીલ ઉદ્યોગમાં ટાટાનો વિધિવત પ્રવેશ થયો. પરંતુ 2000 માં તેમના પુત્ર નવીન પટનાયકે મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યાં સુધી ઓરિસ્સાની સ્ટીલ હબ તરીકેની સંભવિતતા સંપૂર્ણ રીતે સાકાર થઈ ન હતી.
ઓરિસ્સામાં ટાટાની એન્ટ્રીઃ કલિંગનગર પ્રોજેક્ટ
2004માં, ટાટા સ્ટીલે જાજપુર જિલ્લામાં સ્થિત કલિંગનગરમાં સ્ટીલ પ્લાન્ટ બનાવવા માટે ઓરિસ્સા સરકાર સાથે કરાર કર્યો હતો. જો કે, પ્રોજેક્ટમાં ઘણા પડકારો હતા. જાન્યુઆરી 2006 માં, સ્થાનિક સમુદાયોના વિસ્થાપનને કારણે પોલીસ અને વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ, જેના પરિણામે 13 આદિવાસીઓ સહિત 14 લોકોના મૃત્યુ થયા. આ ગંભીર ઘટના પછી ઘણી તકેદારી રાખીને ટાટાએ ઓરિસ્સા સરકારના સમર્થન સાથે, 2010 માં પ્રોજેક્ટને ફરીથી શરૂ કર્યો અને 2015 સુધીમાં, કલિંગનગર પ્લાન્ટનો પ્રથમ તબક્કો 3 મિલિયન ટન (MT) ની ક્ષમતા સાથે કાર્યરત થયો.

તબક્કો-II વિસ્તરણ: એક ગેમ-ચેન્જર
કલિંગનગરમાં વિસ્તરણનો બીજો તબક્કો, જે 2016માં શરૂ થયો હતો, તે સપ્ટેમ્બર 2023માં રૂ. 27,000 કરોડના ખર્ચે પૂર્ણ થયો. આ વિસ્તરણથી પ્લાન્ટની ક્ષમતામાં વધુ 5 મેટ્રિક ટનનો ઉમેરો થયો, જે કુલ 8 મેટ્રિક ટન થઈ ગયો. આ ઉપલબ્ધી નોંધપાત્ર હતી કારણ કે તે ઓરિસ્સાની સ્ટીલની કુલ ઉત્પાદન ક્ષમતાને 14.6 MT સુધી લઈ ગયું હતું, જે ટાટાના પ્રતિષ્ઠિત જમશેદપુર યુનિટને પણ વટાવી ગયું હતું, જેની ક્ષમતા 12 MT- મેટ્રિક ટન છે.
કલિંગનગર ખાતે ટાટા સ્ટીલની નવી બ્લાસ્ટ ફર્નેસ હવે 5,870 ક્યુબિક મીટરના જથ્થા સાથે ભારતમાં સૌથી મોટી છે. આ અપગ્રેડ ઓટોમોટિવ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિપબિલ્ડીંગ અને સંરક્ષણ જેવા વિવિધ ઉદ્યોગોની વધતી જતી માંગને પહોંચી વળવાની ટાટા સ્ટીલની કેપેસીટી અને પ્રોડક્શનને મજબૂત બનાવે છે.
ઓરિસ્સામાં ટાટાની હાજરી
છેલ્લા કેટલાક દાયકાઓમાં ટાટા સ્ટીલે ઓરિસ્સામાં સતત તેનું રોકાણ વધાર્યું છે. કલિંગનગર પ્લાન્ટ ઉપરાંત, કંપનીએ 2022માં 12,100 કરોડમાં કલિંગનગર નજીક સ્થિત જાહેર ક્ષેત્રનો સ્ટીલ પ્લાન્ટ નીલાચલ ઈસ્પાત નિગમ લિમિટેડ (NINL) પણ હસ્તગત કરી લીધો. 2018 માં, તેમણે ભૂષણ સ્ટીલ સામે નાદારીની કાર્યવાહી બાદ 34,000 કરોડ રૂપિયામાં ઢેંકનાલ જિલ્લામાં ભૂષણ સ્ટીલનો પ્લાન્ટ પણ પોતાનામાં ભેળવી દીધો.
સંયુક્ત રીતે, આ સુવિધાઓ ટાટા સ્ટીલને ઓરિસ્સામાં કુલ 14 MT થી વધુ ઉત્પાદનની ક્ષમતા આપે છે, જેના કારણે તે રાજ્યનું સૌથી મોટું ઉત્પાદન એકમ બન્યું. ટૂંક સમયમાં હજુ વધુ એક્સપાન્શન એટલે કે વિસ્તરણ થશે જેની તૈયારીઓ ચાલી રહી છે. સંભવત: કલિંગનગર અને NINL બંને પ્લાન્ટની કેપેસીટી હજુ વધારવાનો એજેન્ડા છે.
ઐતિહાસિક સંદર્ભ: ગોપાલપુર પ્રોજેક્ટ જે ક્યારેય શરૂ થયો ન હતો
રસપ્રદ વાત એ છે કે ઓરિસ્સામાં ટાટા સ્ટીલની હાજરી કદાચ ઘણી વહેલી શરૂ થઈ ગઈ હશે. 1995માં તત્કાલિન વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવે દક્ષિણ ઓરિસ્સાના ગોપાલપુર ખાતે ટાટા પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. જો કે, આ પ્રોજેક્ટને સ્થાનિક વિરોધ અને પાણીની ઉપલબ્ધતા અંગેના અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. આખરે તે પ્લાન્ટ શરુ થયો જ નહિ.
ઓરિસ્સા શા માટે મહત્વનું છે?
ઓરિસ્સા ખનિજ સંસાધનોથી સમૃદ્ધ છે. ખાસ કરીને આયર્ન ઓર, જે સ્ટીલના ઉત્પાદન માટે જરૂરી છે તે ઓરિસ્સામાં ભરપુર માત્રામાં છે. તે રાજ્ય વ્યૂહાત્મક રીતે સ્થિત છે, જેમાં પારાદીપ અને ધામરા જેવા બંદરોનું એક્સેસ સહેલું છે, જે સ્ટીલની નિકાસને સરળ બનાવે છે. ભારત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ઔદ્યોગિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતું હોવાથી, સ્ટીલ પાવરહાઉસ તરીકે ઓરિસ્સાની ભૂમિકા વૈશ્વિક સ્તર પર વધશે.
2030 સુધીમાં, ઓરિસ્સાની સ્ટીલ ઉત્પાદન ક્ષમતા 130 મેટ્રિક ટન થવાની ધારણા છે, જે તેને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક મંચ પર એક મુખ્ય સ્ટીલના ક્ષેત્રે નોંધપાત્ર બનાવશે. ઓરિસ્સાની પ્રજાને બહુ ફાયદો થયો છે. ઓરિસ્સાના પાડોશી રાજ્યોના લોકોને પણ રોજગારી મળી છે.
ટાટા સ્ટીલના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર ટી.વી. નરેન્દ્રને કલિંગનગરના વિસ્તરણ પર ગર્વ વ્યક્ત કર્યો અને માત્ર કંપની માટે જ નહીં પરંતુ પ્રદેશના સામાજિક-આર્થિક વિકાસ માટે પણ તેનું મહત્વ દર્શાવ્યું. “આ વિસ્તરણ હાઇ-એન્ડ, વેલ્યુ એડેડ સ્ટીલ સેગમેન્ટમાં અગ્રણી તરીકે ટાટા સ્ટીલની સ્થિતિને મજબૂત બનાવે છે અને ભારતમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવાની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે,” એવું તેમણે જણાવ્યું હતું.
કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો કરવાના હેતુથી નવા પ્લાન્ટમાં આધુનિક તકનીકોનો સમાવેશ કરવમ આવ્યો છે. ટાટા પર્યાવરણની સ્થિરતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.
સંસાધન ફાળવણી વિશે ફરિયાદ તરીકે જે શરૂ થયું તે હવે ઔદ્યોગિક સફળતાની ઐતિહાસિક સકસેસ સ્ટોરી ફેરવાઈ ગયું છે. ટાટા સ્ટીલના કલિંગનગર પ્લાન્ટના નેતૃત્વ સાથે, ઓરિસ્સા એ માત્ર ટાટા માટે જ નહીં, પરંતુ ભારત માટે એક મોટા સ્ટીલ ઉત્પાદક તરીકે પોતાને નિશ્ચિતપણે સ્થાપિત કર્યું છે. જેમ જેમ વધુ રોકાણ અને વિસ્તરણ થશે તેમ સ્ટીલ ઉદ્યોગમાં ઓરિસ્સાની આગવી ઓળખ વધતી રહેશે.
ઓરિસ્સામાં ટાટા સ્ટીલની યાત્રા એ એક દ્રષ્ટાંત છે કે કેવી રીતે વ્યૂહાત્મક નિર્ણયો, ઐતિહાસિક ફરિયાદો અને સ્થાનિક સમર્થન જો સાથે હોય તો આર્થિક વૃદ્ધિ અને પ્રાદેશિક વિકાસને કોઈ રોકી શકે નહિ. આજે, ઓરિસ્સા માત્ર કાચા માલના પ્રદાતા તરીકે જ નહીં પરંતુ વિશ્વના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદન કેન્દ્રોમાંના એક તરીકે ખ્યાતી પામી રહ્યું છે. એક ભારતીય તરીકે આપણને ગર્વ થવો જોઈએ.