દિલ્હી : 4 માળની બિલ્ડિંગમાં આગ લાગી : 3 ના મોત
2 યુવતી દાઝી ગઈ : સ્કૂટીમાં ચાર્જિંગ વખતે આગ લાગી અને ઇલેક્ટ્રિક મીટર સુધી જ્વાળા ગઈ, બાદમાં બધા માળમાં આગ ફેલાઈ ગઈ, અનેક લોકોને બચાવી લેવાયા
દીલ્હીનાં કૃષ્ણનગર વિસ્તારમાં 4 ફ્લોરની બિલ્ડિંગમાં શનિવારે રાત્રે ભયાનક આગ લાગી હતી અને તેમાં 3 લોકોના મોત થઈ ગયા હતા. આગની જ્વાળાઓ જોઈને આસપાસના લોકોમાં ભય ફેલાઈ ગયો હતો અને સમગ્ર વિસ્તરમાં દેકારો બોલી ગયો હતો. તરત જ ફાયર ફાઇટરોએ પહોંચી જઈને આગમાં કાબુમાં લેવા જહેમત કરી હતી.
આ ઘટનામાં બિલ્ડિંગની નીચે રાખેલા 11 બાઇક સહિતના અનેક વાહનો સળગીને રાખ થઈ ગયા હતા. 3 લોકો આગમાં સલગીને મૃત્યુ પામ્યા હતા. જ્યારે 2 યુવતીઓ દાઝી જતાં એમને હોસ્પિટલ ખસેડાઇ હતી. અનેક લોકોનું સફળ રેસ્ક્યૂ કરી લેવાયું હતું તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
ચાર્જિંગ વખતે સ્કૂટીમાં આગ લાગી હતી
તપાસમાં એવું બહાર આવ્યું હતું કે 4 માળની આ બિલ્ડિંગના બેઝમેન્ટમાં એક સ્કૂટી ચાર્જિંગમાં મુકાઇ હતી અને વાહન માલિક સ્કૂટી મૂકીને ચાલ્યા ગયા હતા. ચાર્જિંગ વખતે જ સ્પાર્ક થયા બાદ સ્કૂટીમાં આગ લાગી હતી. ત્યારબાદ જોતજોતામાં આખી બિલ્ડિંગમાં આગ ફેલાઈ ગઈ હતી.
સ્કૂટીમાં આગ લાગ્યા બાદ ઇલેક્ટ્રિક મીટર સુધી આગની જ્વાળા પહોંચી હતી અને ધીમે ધીમે આગ આગળ વધતી રહી હતી અને બધા માળ આગની ચપેટમાં આવી ગયા હતા.