કોની એક્ઝીટ કોની એન્ટ્રી આજે ફેંસલો
આજે જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીની મત ગણતરી
હરિયાણામાં ભાજપ-કોંગ્રેસમાં મુખ્યમંત્રીપદ માટે એકથી વધુ દાવેદારો
કાશ્મીરમાં કલમ ૩૭૦ ભાજપને ફાયદો કરાવશે કે જુના જોગી ફરી સત્તામાં આવશે ?
છ વર્ષ બાદ જમ્મુ કાશ્મીરને મુખ્યમંત્રી મળશે
જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી બાદ મંગળવારે બંને રાજ્યોમાં એક સાથે મતગણતરી હાથ ધરાશે અને બપોર સુધીમાં આ બંને રાજ્યોમાં કોની સરકાર રચાશે તે નક્કી થઇ જશે. આ વખતે બંને રાજ્યોમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થઇ હતી. ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં મોટી ઘટનાની જે દહેશત હતી તે બની નથી અને હવે લોકો અહી લોકોનું શાસન આવે તેની રાહ જોઈ રહ્યા છે. મંગળવારે પરિણામ આવે પછી રાજ્યને છ વરસે મુખ્યમંત્રી મળશે.
ચૂંટણી પંચે મત ગણતરીની માટે બધી જ તૈયારી કરી લીધી છે. જમ્મુ કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન થયું હતું જયારે હરિયાણાની 90 બેઠક માટે એક જ તબક્કામાં મતદાન થયું હતું.
જમ્મુ કાશ્મીરમાં આ વખતે ૩૭૦મી કલમ હટી ગઈ છે તેનો ભાજપને કેટલો ફાયદો થાય છે તે જોવાનુ રહે છે. જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા મુખ્યમંત્રી પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા મહેબૂબા મુફ્તી હતા, જેઓ 4 એપ્રિલ, 2016થી 19 જૂન 2018 સુધી મુખ્યમંત્રી પદ પર રહ્યા. ત્યારબાદથી અહીં લેફ્ટનન્ટ જનરલનું શાસન છે. જમ્મુ કાશ્મીરની ચૂંટણી અંગે લોકોમાં જે ઉત્સુકતા જોવા મળી હતી તેનું એક અન્ય કારણ એ પણ છે કે 2019માં કલમ 370 અને 35A હટ્યા બાદ આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હતી.
હરિયાણામાં 2014થી ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે અને 2014થી 11 માર્ચ 2024 સુધી મનોહર લાલ ખટ્ટર મુખ્યમંત્રી પદ પર હતા, પરંતુ હાલમાં નાયબ સિંહ પદ સંભાળી રહ્યા છે.
એક્ઝીટ પોલ શું કહે છે ?
એક્ઝિટ પોલમાં હરિયાણામાં કોંગ્રેસનો વિજય થઈ રહ્યો હોવાનું જ્યારે જમ્મુ-કાશ્મીરમાં કોઈપણ પક્ષને બહુમતી નહીં મળતા ત્રિશંકુ સ્થિતિ સર્જાઈ શકે છે. મોટાભાગના એક્ઝિટ પોલ મુજબ હરિયાણામાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી રહી છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ (એનસી)નું જોડાણ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી શકે છે, પરંતુ તે બહુમત હાંસલ નહીં કરી શકે. હરિયાણા અને જમ્મુ-કાશ્મીર બંનેમાં સરકાર બનાવવા બહુમતી બેઠકોનો આંક ૪૬ છે.