જ્ઞાનવાપીના ભોંયરામાં પૂજા-પાઠનો અધિકાર આપતી કોર્ટ
હિન્દુ પક્ષની અરજી મંજૂર: ૭ દિવસમાં પૂજાની વ્યવસ્થા કરવા વહીવટી તંત્રને આદેશ: હિન્દુ પક્ષની મોટી જીત
વારણસીની જ્ઞાનવાપી મંદિર-મસ્જિદ કેસમાં બુધવારે અદાલતે મોટો આદેશ આપ્યો હતો અને હિન્દુ પક્ષને રાહત આપી હતી. જિલ્લા અદાલતે જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસજીના ભોંયરામાં હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો અને તેના માટે મંજૂરી આપી દીધી હતી. સાથોસાથ અદાલતે ૭ દિવસની અંદર પૂજા પાઠ કરવા માટેની વ્યવસ્થા કરી આપવાનો જિલ્લા વહીવટી તંત્રને આદેશ પણ આપ્યો હતો. જિલ્લા મેજીસ્ટ્રેટે વ્યવસ્થા ગોઠવવાની રહેશે. અદાલતે હિન્દુ પક્ષની અરજીનો સ્વીકાર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાછલા સપ્તાહે જ અદાલતના આદેશના પગલે ભોંયરાની ચાવી જિલ્લા મેજીસ્ટ્રેટે પોતાના કબજામાં લઈ લીધી હતી. હિન્દુ પક્ષના વકીલ દ્વારા એમ જણાવવામાં આવ્યું હતું કે, અદાલતનો બુધવારનો આદેશ રામ મંદિરનું તાળું ખોલવા જેવો હતો.
એમણે એમ પણ કહ્યું હતું કે, આ ભોંયરામાં ૧૯૯૩ પહેલા પૂજા પાઠની વિધિ કરવામાં આવતી હતી પરંતુ અયોધ્યામાં બાબરી મસ્જિદ તૂટી ગયા બાદ જ્ઞાનવાપીને ચારેકોરથી વહીવટી તંત્ર દ્વારા બેરીકેડથી સુરક્ષિત કરી દેવામાં આવી હતી અને તેને કારણે ભોંયરામાં જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો.
મંગળવારે પણ પૂજા પાઠ કરવાના અધિકાર અંગે સુનાવણી થઈ હતી અને નિયમિત પૂજા પાઠની માંગણીનો વિરોધ કરીને મુસ્લિમ પક્ષ તરફથી વકીલે વિરોધ કર્યો હતો અને એવી દલીલ કરી હતી કે, અદાલતે ફક્ત રિસીવર નિયુક્ત કરવાની સૂચના આપી હતી અને તેમાં પૂજાનો અધિકારનો કોઈ ઉલ્લેખ ન હતો માટે પૂજાના અધિકારની માંગણી રદ્દ કરવી જોઈએ.
૧૯૯૩ સુધી નિયમિત પૂજા થતી હતી
સોમનાથ વ્યાસનો પરિવાર ૧૯૯૩ સુધી જ્ઞાનવાપીના ભોંયરામાં નિયમિત પૂજા પાઠ કરતો હતો. ફરીથી પૂજા કરાવવા માટે સોમનાથ વ્યાસના પરિવારજન શઇલેન્દ્ર વ્યાસ દ્વારા અદાલતમાં માંગણી કરવામાં આવી હતી. એમણે અરજીમાં એમ કહ્યું હતું કે, ભોંયરાની ચાવી મસ્જિદની કમિટી પાસે છે. જિલ્લા મેજિસ્ટ્રેટની દેખરેખમાં ભોંયરાની સોંપણી કરીને ત્યાં પૂજા શરૂ કરાવવાની માંગણી કરવામાં આવી હતી.