દિલ્હી બ્લાસ્ટ પાછળના ષડયંત્ર કારીઓને છોડવામાં નહીં આવે! વડાપ્રધાન મોદીની ચેતવણી,મૃતકોના પરિવારજનો પ્રતિ સંવેદના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુતાનના પ્રવાસ દરમિયાન સોમવારે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ પર શોક વ્યક્ત કર્યો હતો અને પીડિત પરિવાર પ્રત્યે સંવેદનાઓ પાઠવી હતી. સાથે ષડયંત્ર કરનારાઓને સાફ શબ્દોમાં ચેતવણી પણ આપી દીધી હતી. એમણે કહ્યું કે કોઈ પણ ષડ્યંત્રકારીને છોડવામાં આવશે નહિ, બક્ષવામાં આવશે નહિ.
મોદીએ ભુતાનમાં દિલ્હી બ્લાસ્ટની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, હું ભારે મનથી અહીં આવ્યો છું. સોમવારે સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ મને વ્યથિત કરી દીધો. હું પીડિત પરિવારોના દુઃખને સમજું છું. આજે સમગ્ર દેશ તેમની પડખે ઊભો છે.
ગઈકાલ રાતે હું દરેક તપાસ એજન્સી અને મહત્ત્વપૂર્ણ અધિકારીઓના સંપર્કમાં હતો. વિચાર વિમર્શ ચાલી રહ્યા હતા. તમામ ઘટનાઓની લિંક જોડી રહ્યા હતા. અમારી તપાસ એજન્સીઓ આ કાવતરાના ઊંડાણ સુધી જશે અને આ કાવતરા પાછળના ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવે.’ હું આખી રાત જાગતો રહ્યો અને એજન્સીઓના સંપર્કમાં રહ્યો.
એમણે કહ્યું કે, ‘આ દુર્ઘટનામાં જે પરિવારોએ પોતાના પ્રિયજન ગુમાવ્યા છે, તે બધાના દુઃખમાં સમગ્ર દેશ સહભાગી છે. તેમણે શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના આપી અને ઘાયલ વ્યક્તિઓ જલદી સાજી થાય તેવી કામના વ્યક્ત કરી. આ સાથે જ, સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીઓને પૂરી સૂચના આપવામાં આવી છે કે તેઓ નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચે અને દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી સુનિશ્ચિત કરે.
