વીમા એજન્ટને મળતા તગડા કમિશનમાં કાપ મુકવા વિચારણા: ગ્રાહકોને મિસ સેલિંગ અને મોંઘા પ્રીમિયમથી બચાવવા કવાયત
વીમા એજન્ટને મળી રહેલા તગડા કમિશન ઉપર કાપ મુકવાની વિચારણા ચાલી રહી છે. આ માટે નવા નિયમો પણ બનાવવામાં આવશે જેથી ગ્રાહકોને મિસ સેલિંગ અને મોંઘા પ્રીમિયમથી બચાવી શકાય.
ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર ઈરડાએ ચેતવણી આપી છે કે પોલિસી વેંચવાનો ખર્ચ વધારે આવે છે તેથી પ્રીમિયમ મોંઘુ થઇ રહ્યુ છે. કંપનીઓ તરફથી એજન્ટોને વધુ પૈસા આપવાના ચક્કરમાં ગ્રાહકોને મોંઘી પોલીસી ખરીદવી પડે છે. રીઝર્વ બેન્કે પણ પોતાના અહેવાલમાં વધી રહેલા ખર્ચ અંગે ચિંતા દર્શાવી છે.
વીમા ક્ષેત્રના જાણકારોનું કહેવું છેકે, જયારે પહેલા વરસે એજન્ટને વધુ કમિશન મળે છે ત્યારે મિસ સેલિંગ ( ખોટી માહિતી આપીને પોલીસી વેંચવી) ના મામલા વધી જાય છે. વધુ પૈસા મેળવવા માટે એજન્ટ ગ્રાહકોને ખોટી રીતે પોલીસી પધરાવી દે છે. અંતે આવા મામલામાં પોલીસી ધારકને જ ભોગવવાનું આવે છે.
આંકડા કહે છે કે, 2024-25માં લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓએ કમિશન પેટે 60,800 કરોડ રૂપિયા આપ્યા હતા જે પાછલા વર્ષ કરતા 18 ટકા વધારે છે. આ દરમિયાન કંપનીઓના પ્રીમિયમ(આવક)માં માત્ર 6.73 ટકાનો વધારો થયો છે.
