સવારે ૧૦ વાગ્યે ઢેબર ચોકમાં મેદનીને સંબોધન: પાંચ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેવાનો દાવો
લોકસભા ચૂંટણીનો પ્રચાર-પ્રસાર રવિવારથી શાંત પડી જવાનો છે તે પહેલાં છેલ્લી ઘડીનો પ્રચાર કરી લેવા માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રમાં જામનગર, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં જાહેરસભાને સંબોધન કર્યા બાદ હવે આજે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની રાજકોટમાં જાહેરસભા યોજાશે.
સવારે ૧૦ વાગ્યાથી ઢેબર ચોક ખાતે શરૂ થનારી આ જાહેરસભામાં પાંચ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહે તેવો દાવો કોંગ્રેસ નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન દ્વારા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એક પછી એક સભાને સંબોધન કરી કોંગ્રેસની આકરાં શબ્દોમાં ઝાટકણી કાઢ્યા બાદ હવે તેનો જવાબ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેવી રીતે અપાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
રાજકોટ બેઠક ઉપર ભાજપના દિગ્ગજ નેતા, કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલા ચૂંટણી જંગમાં છે તો કોંગ્રેસે પરેશ ધાનાણીને ઉતાર્યા છે ત્યારે ખડગેની આ સભા કોંગ્રેસને ફાયદો કરાવશે કે મતદારોને આકર્ષી નહીં શકે તેનો જવાબ ૪ જૂને મળી જશે. જો કે તે પહેલાં રાજકોટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાની સભા હોવાથી શહેર કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીમાં લાગી ગયા છે.
જાહેરસભાને સંબોધન કર્યા બાદ બપોરે ૧ વાગ્યે મલ્લિકાર્જુન ખડગે પત્રકાર પરિષદને સંબોધન કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.